રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની 76મી પુણ્યતિથિ નિમિત્તે તેમની કર્મભૂમિ બોટાદ જિલ્લાના રાણપુર ખાતે પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આયુષ વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ શ્રી મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહ, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મુકેશભાઈ પરમાર, રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનોદભાઈ સોલંકી, શ્રી પિનાકીભાઈ મેઘાણી સહિત અધિકારીશ્રીઓ- પદાધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.આ વેળાએ ગાયક કલાકાર શ્રી અભેસિંહ રાઠોડે શ્રી ઝવેરચંદ મેઘાણીની કૃતિ “કસુંબીનો રંગ”ની પંક્તિઓ ગાઈને શ્રદ્ધા-સુમન અર્પણ કર્યા હતા.