ધાનેરા તાલુકાના વાલેર ગામના પિતા-પુત્ર મંગળવારે બપોરે બાઇક લઇને ભાટરામ ગોગ મહારાજના દર્શન કરવા જતાં હતા.જ્યાં ખીમંત અને આલવાડા વચ્ચે સામેથી આવતી ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા પુત્રનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ધાનેરા તાલુકાના વાલેર ગામના હિતેષભાઈ જોરાભાઈ દેસાઈ પોતાના પિતા સાથે મંગળવારે બીજ ભરવા માટે વાલેરથી ભાટરામ ગોગ મહારાજના મંદિરે બાઈક પર થઈ જઈ રહ્યા હતા. જેઓને આલવાડા ગામ નજીક સામે આવતી બોલેરો ગાડી સાથે ટક્કર થઈ જતા પિતા પુત્ર બન્ને રોડ પર પટકાયા હતા.

જેમાં હિતેષભાઈ દેસાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.જ્યારે પિતા જોરાભાઈ દાનાભાઈ દેસાઈને વધુ ઈજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. મૃતક 25 વર્ષીય હિતેષભાઈ જોરભાઇ દેસાઈ ખાનગી બેંકમા નોકરી કરતા હતા.

સેવાના કાર્યમાં ગ્રામજનોની સાથે હંમેશા મદદમાં ઊભા રહેતા હિતેષભાઈ દેસાઈના આકસ્મિક મોતથી વાલેર ગામ હિબકે ચડ્યું છે. પરિવારમાં ત્રણ ભાઇઓ વચ્ચે એકના એક જુવાન જોધ દીકરાનું મોત થતા પરિવાર અને ગામમાં માતમ છવાયો હતો.