16 ડિસેમ્બરનો દિવસ સૈનિકોના શૌર્યને સલામ કરવાનો દિવસ છે. આખા દેશમાં 16 ડિસેમ્બરને વિજય દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે 1971ના વરસમાં ભારતે પાકિસ્તાનને યુદ્ધમાં ધૂળ ચટાડી હતી. ભારતે પાકિસ્તાન ઉપર જીતનો જશ્ન મનાવ્યો હતો. વર્ષ 1971માં ભારતને પછાડવા માટે આવી પહોંચેલી પાકિસ્તાનની એક મોટી સેનાને આપણા મુઠ્ઠીભર સૈનિકોએ હાડકાખોખરા કરી નાખ્યા હતાં. 1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને સજ્જડ હારનો સામનો કરાવ્યો હતો. ત્યારબાદ પૂર્વ પાકિસ્તાનને પણ આઝાદી મળી હતી જે આજે બાંગ્લાદેશના નામે ઓળખાય છે. આ યુદ્ધ બાદ પાકિસ્તાનની સેનાના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ એ એ કે નિયાજીએ પોતાની સેનાના લગભગ 93000 સૈનિકો સહિત ભારતીય સેના સામે આત્મસમર્પણ કરવું પડ્યું હતું. આ યુદ્ધ ભારત માટે ઐતિહાસિક અને દરેક દેશવાસીના મનમાં ઉમંગ પેદા કરનારું સાબિત થયું. આ વિજય દિવસ પર આપણે જાણીએ કે ભારતે કેવી રીતે આ યુદ્ધ જીત્યું હતું.

1971ના યુદ્ધ પહેલા બાંગ્લાદેશનું કોઈ અસ્તિત્વ નહતું. પાકિસ્તાન બે ભાગમાં વહેંચાયેલું હતું. પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. 3 ડિસેમ્બર, 1970ના રોજ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ થઈ. પૂર્વ પાકિસ્તાનની રાજનીતિક પાર્ટી અવામી લિગે 169માંથી 167 બેઠકો જીતી અને આ રીતે 313 સભ્યોવાળી પાકિસ્તાનની સંસદ મજલિસ એ શૂરામાં પણ બહુમત મેળવ્યું. અવામી લીગના નેતા શેખ મુજીબ ઉર રહેમાને સરકાર બનાવવા માટે રજુઆત કરી હતી જે પીપીપીના નેતા ઝુલ્ફિકાર અલી ભૂટ્ટોએ સ્વીકારી નહતી. યાહિયા ખાને પૂર્વી પાકિસ્તાનમાં વિદ્રોહીઓને કચડી નાખવા માટે પશ્ચિમ પાકિસ્તાનના પ્રમુખ સેનાપતિને આદેશ જારી કર્યાં.

પાકિસ્તાની સેનાએ 25 માર્ચ 1971ના રોજ ઢાકા અને આસપાસના વિસ્તારોમાં કાર્યવાહી શરૂ કરી દીધી. પાકિસ્તાને તેને ઓપરેશન સર્ચ લાઈટ નામ આપ્યું. આ ઓપરેશનમાં પૂર્વ પાકિસ્તાનમાં ખુબ હિંસા થઈ. બાંગ્લાદેશ સરકારના જણાવ્યાં મુજબ આ દરમિયાન લગભગ 30 લાખ લોકો માર્યા ગયાં. જો કે પાકિસ્તાન સરકાર તરફથી ગઠિત કરવામાં આવેલા હમદૂર રહેમાન આયોગે આ દરમિયાન ફક્ત 26000 લોકોના મોતની પુષ્ટિ કરી હતી.

પૂર્વ પાકિસ્તાનમાં હાહાકાર મચવા લાગ્યો. ત્યાંથી લોકો ભાગીને પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય અને ત્રિપુરામાં શરણ લેવા લાગ્યા હતાં. 27 માર્ચ 1971ના રોજ પાકિસ્તાની સેનાના વિદ્રોહી સૈન્ય અધિકારી જીયા ઉર રહેમાને શેખ મુજબ ઉર રહેમાન તરફથી બાંગ્લાદેશની સ્વતંત્રતાની જાહેરાત કરી અને અનેક સૈનિકો આ બળવામાં સામેલ થઈ ગયાં. જ્યારે ભારતમાં પાકિસ્તાની સેનાના દુર્વ્યવહારના અહેવાલો આવ્યાં ત્યારે ભારત પર દબાણ આવવા લાગ્યું કે તે ત્યાં સેના દ્વારા હસ્તક્ષેપ કરે. તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ઈચ્છતા હતાં કે એપ્રિલમાં હુમલો કરવામાં આવે. આ અંગે ઈન્દિરા ગાંધીએ આર્મી ચીફ જનરલ માનેકશોનો મત લીધો હતો.

3 ડિસેમ્બર 1971ના રોજ ઈન્દિરા ગાંધી કોલકાતામાં એક જનસભાને સંબોધન કરી રહ્યાં હતાં. આ દિવસે સાંજે પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ ભારતીય વાયુસીમા પાર કરીને પઠાણકોટ, શ્રીનગર, અમૃતસર, જોધપુર, આગરા વગેરે સૈન્ય હવાઈમથકો પર બોમ્બવર્ષા કરવાનું શરૂ કરી દીધુ. યુદ્ધ શરૂ થયા બાદ પૂર્વમાં ઝડપથી આગળ વધી રહેલી ભારતીય સેનાએ જેસોર અને ખુલના પર કબ્જો કર્યો. ભારતીય સેનાની રણનીતિ હતી કે મહત્વના ઠેકાણાઓને છોડીને પહેલા આગળ વધવું. ઢાકા પર કબહ્જો કરવાનું લક્ષ્ય ભારતીય સેના સામે હતું જ નહી.

*રિપોર્ટ ભારતી માખીજાણી*