દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી સંદર્ભે હથિયારોના પરવાનેદારોને હથિયાર જમા કરાવવા આદેશ

ગુજરાત  વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ બે તબક્કાઓમાં યોજવાનું જાહેર કરાયું છે ત્યારે દાહોદનાં જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ ચૂંટણીઓ શાંત, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઇ એ માટે જિલ્લાના હથિયારોના પરવાનેદારોને આદેશ કર્યો છે. તદ્દનુસાર, પરવાનાવાળા દરેક પ્રકારના હથિયાર કે હથિયારો આ જાહેરનામું બહાર પાડયાની તારીખથી દિવસ ૭ માં જિલ્લાના સંબધિત પોલીસ સ્ટેશનમાં અનામત જમા કરાવી દેવા તથા સંબધિત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હથિયાર પરવાનો ધરાવતા તમામ વ્યક્તિઓ હથિયાર જમા કરાવે તે માટે પગલા લેવા તેમજ અત્રેની કચેરીને જાણ કરવા જણાવાયું છે. 

 તેમજ આ આદેશ જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા જિલ્લાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીઓ તરફથી આપવામાં આવ્યા હોય તેમજ કોઇ પણ રાજ્યના કોઇ પણ સત્તાધિકારી દ્વારા હથિયાર લાયસન્સ અપાયું હોય તેમને પણ લાગુ પડશે. આ આદેશ દાહોદ જિલ્લાના તેમજ જિલ્લાની મુલાકાતે આવેલા હથિયાર પરવાનેદારોને લાગુ થશે. હથિયાર ખરીદ વેચાણ કરતા પરવાનેદારો હથિયાર ખરીદ વેચાણ આ સમયગાળા દરમિયાન કરશે તો હથિયારની સોંપણી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી ધારકને કરી શકશે નહી. સંબધિત પોલીસ સ્ટેશને તા. ૧૫-૧૨-૨૦૨૨ પછી હથિયાર પરત કરવાના રહેશે. કેન્દ્ર સરકારના અધિકારીઓ, કર્મચારીઓ જેઓ કાયદા મુજબ હથિયાર ધારણ કરવાની પરવાનગી મળી છે તેમજ ચૂંટણી ફરજ ઉપર છે તેમને આ હુકમ લાગુ થશે નહી.