કાંકરેજના કંબોઇથી લક્ષ્મીપુરા તરફ જઈ રહેલી કારના ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવી દાંતીવાડા કેનાલ પાસે ખેતરમાં કાર ઘૂસાડી હતી. જેમાં કાર લીમડાના ઝાડ સાથે જોરથી અથડાતાં કારમાં સવાર એક યુવકનું મોત થયું હતું. જ્યારે ત્રણને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે ખેડૂતના ફળીયામાં બાંધેલ બે ભેંસોના પગ ઉપર કાર ચડી જતાં પગ ભાગી ગયા હતા.

કંબોઇ ચાર રસ્તાથી કસરા તરફ જતા હાઇવે ઉપર કંબોઇથી લક્ષ્મીપુરા તરફ જઈ રહેલી કાર નંબર જીજે-14-એમ-9080 ના ચાલકે કાબુ ગુમાવતા કાર લગધીજી છગનજી સોલંકીના ખેતરમાં ઘૂસી ગઇ હતી અને લીમડાના ઝાડ સાથે અથડાઇ હતી. જેમાં કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો.

 કાર લીમડાના ઝાડ સાથે અથડાતાં કિરણજી રૂગનાથજી ઠાકોર (ઉં.વ.22,રહે.કાંસા,તા.સરસ્વતી) ને ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું અને ત્રણ વ્યક્તિને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અકસ્માતમાં ખેતરમાં બનાવેલ ઓરડીની બાજુમાં બે ભેંસો બાંધેલી હતી તેને ટક્કર મારતા બન્ને ભેંસોના પગ ભાગી ગયા હતા.

આ અંગેની ફરિયાદ મૃતકના કાકા હાલાજી રામસીજી ઠાકોર (રહે.કાસા,તા.સરસ્વતી) એ શિહોરી પોલીસ મથકે નોંધાવી છે. લાશને શિહોરી રેફરલમાં પી.એમ. બાદ લાશ વાલી વારસોને સોંપવામાં આવી હતી. આગળની તપાસ શિહોરી પોલીસ ચલાવી રહી છે.