શહેરા તાલુકામાં આવેલ સસ્તા અનાજની દુકાનો પર પુરવઠા વિભાગની ઓચિંતી તપાસ દરમિયાન ત્રણ દુકાનોમાં ક્ષતિઓ બહાર આવતા જ કાર્યવાહી હાથ ધરાઈ.

શહેરા

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં આવેલી પંડિત દિનદયાલ સંસ્તા અનાજની દુકાનો પર જીલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા અને તેમની ટીમ દ્વારા આકસ્મિત ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતુ. જેમાં તાલુકાની ત્રણ જેટલી દુકાનો ઉપર અનેક ક્ષતિઓ બહાર આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવતા સસ્તા અનાજના દુકાન સંચાલકોમા ફફડાટ વ્યાપી ગયો છે. સરકાર દ્વારા જીલ્લાના દરેક ગામડાઓ અને શહેરમાં રહેતા રેશનકાર્ડ ધારકોને અનાજનો યોગ્ય અને પૂરતો પુરવઠો મળી રહે તે માટે કટીબધ્ધ છે. પંરતુ કેટલાક સસ્તા અનાજના દુકાનદારો દ્વારા રેશનકાર્ડ ધારકોને અનાજ ઓછુ આપવુ, નિયત ધારા ધોરણ મુજબ નહી આપવુ, કુપનો નહી આપવી જેવી અનેક બુમો કેટલાય સમયથી પડી રહી હતી. જેના પગલે પંચમહાલ જીલ્લા પુરવઠા તંત્ર દ્વારા આવા દુકાનદારો સામે લાલ આંખ કરવામાં આવતા જ ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો. આવી અનેક ફરીયાદો સામે જિલ્લા પુરવઠા ટીમ દ્વારા શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલી પંડિત દિનદયાલ સસ્તા અનાજની દુકાનો પર ઓચીંતી તપાસો હાથ ધરવામા આવી હતી. જેમા શહેરા તાલુકાના અણિયાદ ગામે આવેલી એક દુકાન તેમજ વાઘજીપુર ગામે આવેલી બે દુકાન પર જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી. જેમા ક્ષતિઓ બહાર આવતા જ આ દુકાનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનુ પુરવઠા વિભાગ તરફથી જાણવા મળ્યુ છે. શહેરા તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં ધરવામાં આવેલ તપાસોને લઈને અન્ય સસ્તા અનાજની દુકાનદારોમાં પણ ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરા નગરના કાંકરી રોડ પર સરકારી અનાજનો જથ્થો ટેમ્પામા લઈ જતા હોય તેવો વિડિયો થોડા સમય પહેલા સોશિયલ મિડીયામા વાયરલ થયો હતો. એક બાજુ સરકાર લોકો સુધી અનાજ પહોચે તે માટે પ્રયત્નો કરતી હોય છે. એટલુ જ નહી પણ કેટલીક યોજના અંતર્ગત મફતમાં પણ રાશન આપતી હોય છે. પરંતુ અનાજ માફીયાઓ દ્વારા લોકોના પેટનો કોળિયો ઝુટવી લેવાય છે. ત્યારે આ વાયરલ વિડિયો બાબતે પણ પુરવઠા તંત્ર દ્વારા તપાસ કરે તે પણ જરુરી છે.