ઉનાળાની ઋતુમાં કમળો, ટાઇફોઇડ, ઝાડા, ઉલટી, ફુડ પોઈઝનિંગ જેવા રોગો નાથવા આરોગ્ય અને નગરપાલિકાની ૬ ટીમો દ્વારા ખાદ્ય પદાર્થોની ચકાસણી કરાઇ..

સઘન ચેકીંગ દરમિયાન જ્યાં સ્વચ્છતાનો અભાવ હોય તેવા એકમો પાસેથી પ્રથમ અને બીજા રાઉન્ડમાં કુલ રૂ. ૨૫,૦૦૦/- દંડની વસૂલાત કરવામાં આવી..

         

જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. જયેશ પટેલના માર્ગદર્શન હેઠળ હાલની ઉનાળાની ગરમીની ઋતુ દરમિયાન કમળો, ટાઇફોઇડ, ઝાડા, ઉલટી, ફુડ પોઈઝનિંગ જેવા રોગો દુષિત ખોરાક તેમજ ખાદ્ય પદાર્થો ખાવાથી ન થાય તે માટે સેનિટેશન રાઉન્ડ દરમિયાન જિલ્લાની આરોગ્ય ટીમો દ્વારા અલગ અલગ જગ્યાએ ચકાસણી કરવામાં આવી હતી. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને નગરપાલિકાની ૬ ટીમો પાડીને હોટલ, રેસ્ટોરન્ટ અને નાસ્તા હાઉસની દુકાનો તથા શાકભાજીની લારીઓ, શેરડી જ્યુસના સેન્ટર પર સઘન ચકાસણી કરવામાં આવી હતી. તથા પીવાના પાણીના સેમ્પલ લઈ કલોરીન ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. તેની સાથે સાથે જન જાગૃતિ અંતર્ગત પ્રચાર પ્રસાર‌ કરવામાં આવ્યા હતો.      

           કોઈપણ ખાદ્ય પદાર્થ બનાવતી વખતે માથા પર કેપ, હાથમાં ગ્લોઝ અને મોંઢા પર માસ્ક ફરજીયાત પહેરવા, પાણીથી થતી બિમારીઓ, મચ્છજન્ય બિમારીઓ અને દુષિત ખોરાકથી થતાં રોગો અંગે જાણકારી આપવામાં આવી હતી. આરોગ્ય અને નગરપાલિકાની ટીમો દ્વારા સઘન ચેકીંગ દરમિયાન જ્યાં સ્વચ્છતા ન હોય અને ગંદકી જણાય, ખાદ્ય પદાર્થો બનાવતી વખતે મોં પર માસ્ક પહેરેલું ન હોય, હાથ પર મોજા ન હોય, નખ કાપેલા ન હોય તેવા એકમો પાસેથી પ્રથમ રાઉન્ડમાં રૂ. ૧૫,૦૦૦/- અને બીજા રાઉન્ડમાં રૂ. ૧૦,૦૦૦/- દંડની વસૂલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત એક્સપારી ડેટના ઠંડા પીણાની બોટલો હોય, ખાવાની વાનગીઓ બરાબર ઢાંકેલી ન હોય, બ્રેડ ફુગ વાળી જોવા મળી હોય, ઠંડા પીણાના ફ્રીજમાં સ્વચ્છતા ન હોય, સડેલા શાકભાજી અને ફ્રુટની આરોગ્ય ટીમો દ્વારા ચકાસણી કરી ૪૨ કિ.લો. અખાદ્ય પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. 

         આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે તમે કોઈપણ હોટલ, રેસ્ટોરન્ટ અને નાસ્તા હાઉસની દુકાનમાં તથા પકોડી ભેળની લારીઓ પર જાઓ ત્યારે પહેલાં જે વ્યક્તિ વાનગીઓ બનાવતા હોય વ્યક્તિ તેના માથા પર કેપ, હાથમાં ગ્લોઝ અને મોંઢા પર માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઇએ તેમજ ખાસ હાથના નખ કાપેલા છે કે કેમ તે જોવું, ઠંડા પીણાની બોટલો પર ખાસ ધ્યાનથી જોવુ કે એક્સપારીય ડેટ બોટલ ન હોય ત્યારબાદ પીવી, ઉતાવળમાં પીવી નહીં, શાકભાજી અને ફ્રુટની લારીઓ પર જાળી ઢાંકેલી છે કે નહીં. બગડેલી શાકભાજી હોય તો ખાસ જોવી, શાકભાજી ચોખ્ખા પાણીથી ધોઈને ઉપયોગ કરવો. 

           આ કામગીરીમાં તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ર્ડા. દિનેશ મેતીયા, તાલુકા હેલ્થ સુપર વાઇઝરશ્રી આર. જે. મકવાણા અને અર્બન હેલ્થ ઓફિસરશ્રી ર્ડા. દિવ્યાબેન પરમાર અને અર્બન હેલ્થ સુપર વાઇઝર શ્રીમાળી દિનેશભાઈ તેમજ નગરપાલિકા સેનિટેશન વિભાગના એસ. આઇ. ચૌધરી શૈલેષભાઈ અને ઓમકારભાઈ, ઉર્વીશભાઈ, ભાવેશભાઈનો સહયોગ મળ્યો હતો.