ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી શાળાંત પરીક્ષાના પ્રશ્નપત્રોનું મધ્યસ્થ મૂલ્યાંકન ચાલી રહ્યું છે. 

ગાંધીનગર જિલ્લાના મગોડી ખાતે ગણિત (બેઝિક) વિષયની ઉત્તરવહી ચકાસણી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન પી. આર. ઠક્કર વિદ્યાવિહાર - મગોડી ખાતે સેવારત સારસ્વત મિત્રો પૈકી વય નિવૃત્ત થતાં ચાર શિક્ષકોના વિદાય શુભેચ્છા સમારોહનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું. શ્રીફળ-સાકર-શાલ-સ્મૃતિ ચિહ્ન દ્વારા અભિવાદિત થયેલ સદર ગણિત શિક્ષક મિત્રો સર્વેશ્રી વિનોદકુમાર આર. પટેલ (લાકરોડા હાઈસ્કૂલ), શરદભાઈ પટેલ (જયપ્રકાશ હાઈસ્કૂલ-ગાંધીનગર), મહેન્દ્રભાઈ ગોહેલ (મણીપ્રભુ હાઈસ્કૂલ-ચાંદખેડા) અને પ્રવિણભાઈ એમ. પટેલ (શ્રીમતી આર. સી. પટેલ હાઈસ્કૂલ - ગાંધીનગર) એ પોતાના અભિપ્રાયો આપ્યા હતા. નિવૃત્તિ લઈ રહેલાં સારસ્વતશ્રીઓ દ્વારા રાહેલબા વૃદ્ધાશ્રમ-મગોડીના વયોવૃદ્ધ વડીલોને પ્રિતી ભોજન પણ અર્પણ કરવામાં આવ્યું હતું એમ એક અખબારી યાદીમાં મગોડી હાઈસ્કૂલના આચાર્યશ્રી મનુભાઈ પ્રજાપતિ જણાવે છે.