ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' અંબાજી માટે વિનામૂલ્યે મુસાફરીની વિશેષ વ્યવસ્થા કરાઇ

પંચ દિવસીય મહોત્સવ અંતર્ગત ૧૨૦૦ બસો બનાસકાંઠા જિલ્લા માટે અને ૧૩૦૦ બસો ઉ.ગુ.ના અન્ય જિલ્લાઓ માટે ફાળવાઈ

           પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી સુધી ' શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નો શુભારંભ થયો છે. જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની ધર્મપ્રેમી જનતા વિના મૂલ્યે આ મહોત્સવમાં ભાગ લઈ શકે એ માટે વિશેષ સેવાયજ્ઞના ભાગરૂપે રોજની ૫૦૦ બસો મળી કુલ ૨૫૦૦ બસો આ પાંચ દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લા માટે ૧,૨૦૦ બસો અને ૧૩૦૦ બસો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ અને ગામડે મુકવામાં આવી છે. જેના દ્વારા શ્રધ્ધાળુ માઇભક્તો આ પંચ દિવસીય મહોત્સવનો લાભ લઇ શકે અને માં અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી શકશે.

           એસ.ટી નિગમ દ્વારા પંચ દિવસીય પરિક્રમા મહોત્સવ માટે રોજની ૫૦૦ અને કુલ ૨૫૦૦ બસોના પરિવહન અંતર્ગત ગબ્બર તળેટી સુધી બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. જેના થકી દર્શનાર્થીઓ મા અંબાના ખોળે પરિક્રમા પથ સુધી નિર્વિઘ્ને પહોંચી પરિક્રમા કરી પોતાના માદરે વતન પરત ફરે ત્યાં સુધીની સુંદર સુવિધા એસ.ટી નિગમ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે.

         એસ.ટી વિભાગના માર્ગદર્શક વિભાગીય નિયામક શ્રી કિરીટભાઇ ચૌધરી અને વિભાગીય પરિવહન અધિકારીશ્રી વિનુભાઈ ચૌધરીના સતત મોનીટરીંગ અને માઈક્રોપ્લાનિંગ હેઠળ કરાયેલ આયોજનમાં ડ્રાઈવર, કંડકટર, મિકેનિક અને વહીવટી સ્ટાફના ૭૦૦૦ કરતાં વધુ કર્મચારીઓ માં અંબાના સેવાયજ્ઞમાં જોડાયા છે.