અમદાવાદમાં અટલ બ્રિજ પર અનેક લોકો રોજ મુલાકાત લે છે ત્યારે લોકોની ભીડની વચ્ચે મંગળવારે સાંજે 7:30 વાગે એક યુવકે સાબરમતી નદીમાં છલાંગ લગાવી હતી. લોકો આ જોઈને સ્તબ્ધ થઈ ગયા અને તાત્કાલિક ફાયરને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ 2 કલાકે નદીમાં સર્ચ કરીને યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો .આ અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે પણ સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. આ યુવકની પારિતોષ મોદી તરીકે ઓળખ થઈ હતી.

મૃતદેહ બહાર કાઢીને પોલીસે તપાસ કરતા યુવક મેડિકલનો વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું હતું. આ મૃતક યુવકનું નામ પારિતોષ અને તે મૂળ પાલનપુરનો રહેવાસી હોવાનું પણ જણાયું હતું. પારિતોષના પિતા પાલનપુરની હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેનો ભાઈ પણ વડોદરા ખાતે MBBSનો અભ્યાસ કરે છે. જો કે કયા કારણથી તેણે અંતિમ પગલું ભર્યું તે જાણવા મળ્યું નથી જેથી પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે.