દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના રેબારી ગામે એક મોટરસાઈકલના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં ચાલક મોટરસાઈકલ પરથી ફંગોળાતાં તેને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૨૪મી નવેમ્બરના રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાલીયાવાડ ગામે રહેતાં મોહનભાઈ જવલાભાઈ બારીયા પોતાના કબજાની મોટરસાઈકલ લઈ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના રેબારી ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં મોટરસાઈકલ ચાલક મોહનભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને હાથે પગે શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં કાળીયાવાવ ગામે નળુ ફળિયામાં રહેતાં શંકરભાઈ જવલાભાઈ બારીયાએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.