વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ સતત જામી રહ્યો છે. રાજકીય પાર્ટીઓનો આક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે. રાજકીય પાર્ટીઓના નેતાઓની વધી ગઈ છે. પત્રકારો સાથેનો સંવાદ પણ વધારી દેવામાં આવ્યો છે. સુરતમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી દ્વારા કેટલાક મહત્વના મુદ્દાઓ પર આજે પત્રકાર પરિષદને સંબોધવામાં આવી છે.

રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં દરેક પાર્ટી અલગ અલગ માનસિકતા સાથે મેદાનમાં ઊતરી છે. કોંગ્રેસ પાર્ટી પોતાનું અસ્તિત્વ બચાવવા માટે વલખા મારી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની હેસિયત ઉભી કરવા માટે આવી છે. અને ઓવૈસી આગ લગાવવા માટે આવ્યા છે.