કડી તાલુકાની નંદાસણ પોલીસે જોટાણા તાલુકાના આલમપુર ગામના ખરાબામાં કસાઈઓ ગૌહત્યા કરે તે પહેલાં જ પહોંચીને 8 ગૌવંશ બચાવીને ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનમાં હાજર હતા. જે દરમિયાન અરજદારે મહેસાણા કંટ્રોલ તેમજ 100 નંબર પર બાતમી આપી હતી કે જોટાણા તાલુકાના અલમપુર ગામ ખાતે આવેલ તેલના કુવાની સામે કેટલાક ઈસમો ગાયોની કતલ કરવાની તૈયારીમાં છે. જેના આધારે નંદાસણ પોલીસ સ્ટેશનના પી.આઈ સહિત પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ટીમ બનાવીને ખાનગી તેમજ સરકારી વાહનો લઇને ઘટના સ્થળે પહોંચ્યા હતા.


જોટાણા તાલુકાનાં આલમપુર ગામે આવેલા કબ્રસ્તાનની પાછળ ગૌચર જગ્યામાં તેલના કુવાની સામે માંસ તેમજ ઝાડીઓમાંથી પશુઓના અવશેષો મળી આવ્યાં હતાં. નંદાસણ પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ કરતાં ઝાડીઓમાં બળદ, ગાયો પોલીસને નજરે પડ્યાં હતાં. પોલીસે સ્થળ ઉપરથી 8 નાના મોટા ગૌવંશ કતલ થતાં જ બચાવી લીધા હતા અને રૂ. 49 હજારનો મુદ્દામાલ સ્થળ પરથી કબ્જે કર્યો હતો. ગૌવંશને બચાવીને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યાં હતાં. નંદાસણ પોલીસે સૈયદ નૂર મોહમ્મદમિયા રહે. આલમપુર તાલુકો જોટાણા સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.