વઢવાણ ગેબનશા પીરની દરબાર પાસે આવેલા કારખાનામાં કામ કરવા બાબતે થયેલી બોલાચાલીમાં ત્રણ શખ્સોએ એક મજુર યુવાન ઉ૫ર છરીથી હુમલો કરીને ગંભીર ઈજા કરતા સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની જાણવા મળતી વિગત એવા પ્રકારની છેકે, વઢવાણ ગેબનશા પીરની દરગાહ પાસે આવેલી ફુડ એન્ડ ફન પેપીના કારખાનામાં મજુરી કરતા રાજેશ નાનજીભાઈ રાઠોડે તેમના શેઠની સુચનાથી કારખાનામાં કામ કરતા અન્ય મજુરો સલીમભાઈ અને તેના પુત્રો નવાબ અને સાજીદને રસ્તામાં પડેલા પેપીના બોરા ઉઠાવી લેવાનું કહેતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રોએ રાજેશભાઈ ઉપર છરીથી હુમલો કરીને મુંઢ માર મારતા રાજેશભાઈને ગંભીર ઇજા થઇ હતી. જેથી તેમને સારવાર માટે સી.યુ.શાહ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અંગે સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસે ફરિયાદના આધારે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.