સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના એક ગામે બળાત્કારની ઘટના સામે આવી છે. જેમાં ખેત મજૂરી કરી રહેલી 18 વર્ષની યુવતી ઉપર નરાધમે દુષ્કર્મ આચર્યુ હતું. આ મામલે દુષ્કર્મનો ભોગ બનેલી 18 વર્ષની યુવતીએ ખેતરમાં જ ઝેરી દવા પી લઈ અને આત્મહત્યા કરી લીધી છે. જેને લઇને સમગ્ર મામલે ચકચાર મચી છે. ત્યારે યુવતીની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવી છે.આ ગોઝારી ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના એક ગામેથી આશરે બે મહિના પહેલા એક પરિવાર ધ્રાંગધ્રા તાલુકામાં ખેત મજૂરી કરવા માટે આવ્યો હતો. ત્યારે ખેત મજૂરી કરી અને તેમનો પરિવાર પોતાની જીવન ધોરણ ગુજારતો હતો. આ દરમિયાન ખેત મજૂરી કરી રહેલા પરિવારની 18 વર્ષની યુવતી પર નરાધમે દુષ્કર્મ ગુજાર્યો હતો. આ દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને લાગી આવતા ખેતરમાં કપાસ છાંટવાની દવા પી લઈ અને આત્મહત્યા કરી લીધી છે. આ બનાવને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ મામલે પોલીસ તંત્રએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.