ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટીના વધી રહેલા પ્રભાવની સીધી અસરોમાં કોંગ્રેસમાં ગાબડા પડી રહયા હોવાના શરૂ થયેલા માહૌલમાં શહેરા વિધાનસભા ચૂંટણીનો બે વખત જંગ હારી ગયેલા અને પંચમહાલ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તખતસિંહ સોલંકી અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની હાજરીમાં "આપ" માં જોડાઈ જતા શહેરા બેઠકના કોંગ્રેસના રાજકીય મોરચે સન્નાટાનો ભૂકંપ સર્જાયો છે. વિધાનસભા ચૂંટણીઓના પડઘમ સંભળાઈ રહ્યા છે અને હાલમાં તમામ રાજકીય પક્ષોમાં કાર્યકરોનો પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે જેમાં છેલ્લા કેટલાક સમયથી દિલ્હીની આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં સક્રિય થતા રોજે રોજ નવીન સમીકરણો રચાઈ રહ્યા છે અને કેટલાક નારાજ કાર્યકરો આપ અથવા તો ભાજપ પક્ષમાં પ્રવેશ લઈ રહ્યા છે. વાત કરીએ શહેરાની તો શહેરા તાલુકાના તરસંગ ગામના વતની તખતસિંહ રવસિંહ સોલંકી વર્ષ ૧૯૮૨ થી કોંગ્રેસના કાર્યકર તરીકે ફરજ નિભાવતા હતા અને વર્ષ ૨૦૦૨ માં તેઓ શહેરા કોંગ્રેસમાં સક્રિય રીતે આવતા કોંગ્રેસ મોવડીમંડળે વર્ષ ૨૦૦૭ અને ૨૦૧૨માં તેઓને વિધાનસભાની ચૂંટણી લડાવી હતી જો કે બંને વખત તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારપછી પણ તેઓને કોંગ્રેસ કાર્યકારી સમિતિમાં વિવિધ હોદ્દાઓ આપવામાં આવ્યા હતા પરંતુ કયા કારણોસર બુધવારના રોજ તેઓએ આમઆદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિઆની હાજરીમાં રાષ્ટ્રીય મહાસચિવ ઈસુદાન ગઢવીએ તેઓને આપ પક્ષનો ખેસ પહેરાવી તેમનો પ્રવેશ કરાવ્યો હતો. અંતરંગ વર્તુળ થકી જાણવા મળ્યા મુજબ કોંગ્રેસ પક્ષમાં ઉપલા લેવલ પર તેઓની સતત થતી અવહેલના આના માટે જવાબદાર છે તેઓ પક્ષ પલટો કરવા મજબૂર થયા હતા.આમ પંચમહાલ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તખતસિંહ સોલંકીએ હાથ નો સાથ છોડી આપ નો સાથ અપનાવતા જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે અને સાથે સાથે શહેરાના રાજકારણમાં પણ એક નવો વળાંક આવ્યો છે અને તેની અસર આગામી વિધાનસભાની ચૂંટણીમાં દેખાય તો નવાઈ નહિ.!!