અંબાજી ભાદરવી પૂનમનો મેળો 2022 અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો છે. આજે ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ માઇભક્તો માં અંબાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. માં અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહા મેળો સુખરૂપ સંપન્ન થયો છે ત્યારે મેળાના ઇતિહાસમાં પ્રથમવાર જ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા માતાજીને મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં ધજા ચડાવી સમગ્ર વહીવટીતંત્ર ” ટીમ બનાસકાંઠા” અને લાખો શ્રદ્ધાળુઓ વતી માં અંબા પ્રત્યે ધન્યતા અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.બે વર્ષ બાદ યોજાઈ રહેલો ભાદરવી પૂનમનો આ વખતે વહીવટીતંત્ર માટે એક પડકાર સમાન હતો. શક્તિપીઠ અંબાજીમાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ આસ્થા શ્રદ્ધા વિશ્વાસ ધરાવતા હોઇ ચાલુ વર્ષે મેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે આવવાની ધારણા હતી. આટલી મોટી સંખ્યામાં માઇ ભક્તો મેળા માં આવતા હોય ત્યારે તેમના દર્શન, વિસામો, પાર્કિંગ, આરોગ્ય, સુરક્ષા અને જાન માલની સુરક્ષાનું આયોજન અને વ્યવસ્થા પુરી પાડવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં યાત્રિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે એ પ્રકારનું આયોજન કરવાનો મોટો પડકાર હતો.

નોંધનીય છે કે જિલ્લા કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે અને જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા માટે અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજનની જવાબદારી પ્રથમવાર તેમના શિરે હતી પરંતુ ટીમ બનાસકાંઠાના સંયુક્ત પ્રયાસોથી અને તંત્રના સુચારુ આયોજન વ્યવસ્થા થકી આ મેળો એક યાદગાર મેળો બની રહયો છે. “ટીમ બનાસકાંઠા” એ અંબાજી મેળાને માંના આશીર્વાદ ગણી માં અંબાનો અવસર સુખરૂપ પાર પાડ્યો છે.

મેળા દરમિયાન લાખો ભક્તો શ્રદ્ધાળુઓએ મેળામાં પુરી પાડવામાં આવેલી સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે સરકારશ્રી અને વહીવટીતંત્રનો આભાર માન્યો છે ત્યારે આજે ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે મેળો સુખરૂપ સંપન્ન થતા સમગ્ર વહીવટીતંત્રની ટીમ બનાસકાંઠા વતી જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે પ્રથમવાર માં અંબા ના શિખરે ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી. તેમણે માના આશીર્વાદથી જ મેળો સુખરૂપ સંપન્ન થયો હોવાનું જણાવી ટિમ બનાસકાંઠાની દ્વારા મેળા માં કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી.