બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને કેન્દ્રીય રેલ અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની વિશેષ ઉપસ્થિતિમાં સુરત ખાતે વાઇબ્રન્ટ વિવર્સ એક્સ્પો ૨૦૨૨નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબે જણાવ્યું હતું કે, સુરતના સાહસિક યુવાનોએ ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી પોતાની મૌલિકતા સાથે આગળ વધારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી આ જ સુધી સરકાર ઉદ્યમીઓને વિવિધ મુશ્કેલીઓમાં મદદ કરવાની ભાવના સાથે ચાલી છે. અનેક ઉદ્યમીઓએ પોતાના ધંધાને વિકસાવવા માટે, આગળ લઈ જવા માટે, સ્પર્ધાના વાતાવરણમાં ટકાવવાના સફળ પ્રયત્નો સાથે પોતાના ઉદ્યોગનો વિકાસ કર્યો છે, ખૂબ મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપી છે તે બદલ હું સૌને અભિનંદન પાઠવું છું. 

આગામી સમયમાં નવસારી પાસે દાંડી ખાતે ટેક્સટાઇલ પાર્ક બનવા જઈ રહ્યો છે તેનાથી વિકાસના નવા આયામો સર્જાશે તે નિશ્ચિત છે. ટેક્સટાઇલ ક્ષેત્રે આજે સુરતની સાથે સ્પર્ધામાં આવી શકે એમ કોઈ નથી. સુરતના ઉદ્યોગકારોએ અનેક નવા પ્રયોગોથી આગળ વધી ટેક્સટાઇલ ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. આજે ઉદ્ઘાટન થયેલા એક્ઝિબિશનથી દેશભરના અનેક વેપારીઓ સુરતમાં આવશે વિકાસ જોશે અને પોતાના વેપાર-ધંધા નો વિસ્તાર કરશે.

સી.આર.પાટીલએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી દેશભરમાં યોજાયેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના ૩૦,૦૦૦થી વધુ વેપારીઓને જોડાવા બદલ અભિનંદન પાઠ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં વેપાર ઉદ્યોગ ક્ષેત્રે ઉદ્યોમ્યોને સહયોગ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર હંમેશા તત્પર છે.