ગુજરાતમાં 27 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને લગભગ સાફ કરી દીધી છે પણ સામે આમઆદમી પાર્ટી ક્યારે ઘૂસી ગઈ તે ખબરજ ન પડી અને આજે અરવિંદ કેજરીવાલની ટીમ ભાજપને પડકારવા સક્ષમ બની જતા ભાજપનો ભ્રમ તૂટ્યો છે કારણ કે જે ચિત્ર ઉભરી રહ્યું છે તે ભાજપ અને આમ આદમી વચ્ચેની મુખ્ય ટક્કર જામે તેવું છે, હવે કોંગ્રેસ ક્યાંય મેદાનમાં જ નથી તે કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી તેવું રાજકીય પંડિતોનું ગણિત છે,કારણ કે કોંગ્રેસના જુના અને જેતે વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા નેતા,કાર્યકરો ભાજપમાં જોડાઈ રહયા છે જે ક્રમ હજુ ચાલુ છે.

એક તરફ ભાજપ કોંગ્રેસીઓને પોતાના પક્ષમાં સમાવવાનું કામ કરતો રહ્યો અને બીજી તરફ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં દિલ્હી મોડલની શાળાઓની સુદ્રઢ સ્થિતિ, મોહલ્લા ક્લિનિક થકી સ્વાસ્થ્ય સુવિધાઓનું મોડલ, વીજળી, પાણીની સુવિધાઓ આપવાની જાહેરાતો લોકોને આકર્ષી રહી હતી, તેનું મુખ્ય કારણ એ કે કાળઝાળ મોંઘવારીમાં બાળકોને ભણાવવા,દવાખાનાના ખર્ચા,યુવાનો મોંઘુ શિક્ષણ લઈ કોલેજ બહાર આવે ત્યારે નહીં મળતી નોકરીઓને લઈ પ્રવર્તી રહેલી બેરોજગારી વગરે જનતાની મુખ્ય જરૂરિયાત ને આમ આદમીએ પકડી લઈ પ્રચાર પ્રસાર શરૂ કરતાં લોકોમાં એક આશા ઉભી થઇ કે કંઈક અલગ થશે પરિણામ એ આવ્યુ કે આજે ગુજરાતમાં ભાજપ સામે આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષની ભૂમિકા માં ઉભરી રહ્યું છે.

જોકે, વાત માત્ર ગુજરાત પૂરતી નથી પણ હવે રાષ્ટ્રીય ફલક ઉપર પણ આમ આદમી પાર્ટી એકલા હાથે ઘણી પ્રગતિ કરી ચુકી છે દિલ્હી બાદ પંજાબ હાંસલ કર્યું છે તે ઉદાહરણ કાફી છે.
આ બધા વચ્ચે આપ ના મનીષ સિસોદિયાએ 2024માં થનારા જંગમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનું નામ વડાપ્રધાન પદના દાવેદાર તરીકે રજૂ કર્યું છે,આમ આમ આદમી પાર્ટીએ હવે ખુલીને કહી દીધું છે કે કેજરીવાલ જ મોદીનો વિકલ્પ બની શકે છે.
2024ની ચૂંટણી મોદી વિરુદ્ધ કેજરીવાલ હશે તે નક્કી છે. સિસોદિયાનું આનિવેદન સીબીઆઈના દરોડા બાદ ભલે આવ્યુ હોય. પરંતુ જે પાછલા 24 કલાકમાં આપના ત્રણ મોટા નેતાઓએ પણ આજ વાતનો પુનરોચ્ચાર કર્યો છે, તેનાથી સ્પષ્ટ છે કે કેજરીવાલ 2024માં મોદીને પડકારશે તે નક્કી છે.
આમ આદમી પાર્ટીના સંસ્થાપક સદસ્ય સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા અને મનીષ સિસોદિયા આને લઈને એલાન કરી ચુક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સામે અરવિંદ કેજરીવાલ વારાણસી બેઠક પરથી ચૂંટણી લડયા હતા. જો કે કેજરીવાલ ત્યારે હારી ગયા હતા, પરંતુ તેઓએ પ્રયાસો ચાલુ રાખ્યા છે અને મોદી સામે ટક્કર લેવાનું સાહસ એક દિવસ ચિત્ર બદલી પણ શકે છે તેમ રાજકીય તજજ્ઞોનું માનવું છે.