હનુમાન જયંતિના પવિત્ર અવસરે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાણીતા અને લોકપ્રિય લોકસાહિત્યકાર રમણીકભાઈ ધાંધલ્યા દ્વારા હનુમાન ચાલીસાનું વિશેષ ગાન રિલીઝ કરવામાં આવ્યું છે. ભક્તિ અને શૌર્ય રસથી ભરપૂર આ પ્રસ્તુતિએ સોશિયલ મીડિયામાં ભારે આકર્ષણ જમાવ્યું છે.
આ હનુમાન ચાલીસાના વીડિયોની વિશેષતા તેનું શૂટિંગ છે, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ હનુમાન મંદિરો જેવા કે કષ્ટભંજન દેવ (સાળંગપુર), ભુરખીયા હનુમાનજી મહારાજ અને ઝાંઝરીયા હનુમાનજી મહારાજના પવિત્ર ધામોના દ્રશ્યોને વીડિયોમાં વણી લેવામાં આવ્યા છે, જે શ્રોતાઓ અને ભક્તો માટે એક દ્રશ્ય-શ્રાવ્ય લ્હાવો બની રહ્યો છે. સામાન્ય રીતે હનુમાન ચાલીસા શાંત લયમાં સાંભળવા મળતી હોય છે, પરંતુ રમણીકભાઈ ધાંધલ્યાએ પોતાની આગવી શૈલીમાં 'શૌર્ય રસ' સાથે આ ચાલીસાનું ગાન કર્યું છે. તેમની વીરતાપૂર્ણ રજૂઆતને કારણે યુવાનોમાં પણ આ ગાન લોકપ્રિય બન્યું છે.
રમણીકભાઈ ધાંધલ્યાએ જણાવ્યું કે, "હનુમાન જયંતિના અવસરે બજરંગબલીના શરણોમાં આ એક નાનકડી ભક્તિ અંજલિ છે, જેને શ્રોતાઓનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે." આ હનુમાન ચાલીસા રમણીકભાઈ ધાંધલ્યાની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવી છે. રિલીઝ થતાની સાથે જ ચાહકો અને ધર્મપ્રેમી જનતાએ તેને ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ આપ્યો છે અને લાઈક્સ તેમજ શેર દ્વારા આ કાર્યને વધાવ્યું છે