બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકની મુલાકાત લીધી હતી. તેમણે મથકની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને પોલીસ જવાનો સાથે દરબારનો કાર્યક્રમ યોજ્યો હતો. 

નિરીક્ષણ દરમિયાન પોલીસ જવાનોએ તેમની સમસ્યાઓ રજૂ કરી હતી. બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકે તેમની ફરિયાદો સાંભળી અને યોગ્ય નિરાકરણ માટે સુચનાઓ આપી હતી. મથકની કામગીરી અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.

નિરીક્ષણ બાદ પોલીસ મથકમાં હનુમાનજીના મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ચૌધરી અને તેમની ટીમે આયોજન કર્યું હતું. બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકે યજ્ઞમાં આહુતી આપી ધન્યતા અનુભવી હતી અને હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી.

આ અંગે બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, હનુમાનજીની મૂર્તિ પોલીસ જવાનો અને તેમના પરિવારો માટે હકારાત્મક ઉર્જાનું પ્રતિક બનશે. જવાનોને આરાધના માટે મંદિર ઉપલબ્ધ થવાથી તેમનું મનોબળ વધશે.

ત્યારબાદ બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકની પણ મુલાકાત લીધી હતી. અહીં વાયરલેસ વિભાગ અને લોકઅપનું નિરીક્ષણ કરી જરૂરી સુચનાઓ આપી હતી. કાર્યક્રમમાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, જવાનો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.