થરામાં રવિવારે સાંજે વડા ગામના બે વર્ષો જૂના મિત્ર મળ્યા હતા. જેમાં એક મિત્રએ બીજા મિત્રને મને ફરવા કેમ ન લઇ ગયો તેમ કહી ગળું દબાવી હત્યા કરી હતી.

કાંકરેજ તાલુકાના વડા ગામના અશોકજી વાલજીજી ઠાકોર અને પ્રહલાદભાઇ રામજીભાઇ નાઇ બંને વર્ષો જૂના મિત્રો હતા. ત્યારે રવિવારે થરામાં આવેલા પશુ દવાખાનાની આગળ આવેલ વિષ્ણુજી ઠાકોરના ઘરે અશોકજીના ભાઇ ભરતજી ઠાકોર ડી.જે. સાઉન્ડ ફીટ કરવા આવ્યા હતા. જ્યાં અશોકજી ઠાકોર તેમને મદદ કરવા આવ્યા હતા. ત્યારે અશોકજીના ભાઇ ભરતજી ઠાકોર અને વિષ્ણુજી ઠાકોર ડી.જે.ઉપર હતા અને અશોકજી ઠાકોર નીચે ઉભેલા હતા.

 તે વખતે અશોકજી ઠાકોરનો મિત્ર પ્રહલાદભાઇ રામજીભાઇ નાઇએ તું કેમ બે દિવસ પહેલાં મને એકલાને મુકીને દ્વારકા બાજુ ફરવા જતો રહ્યો હતો તેમ કહી એક્દમ ઉશ્કેરાઇ જઇ અશોકજી ઠાકોરને બાથે થઇ ગળું દબાવી નાંખતા અશોકજીએ એકાએક બુમાબુમ કરતાં તેમના ભાઇ ભરતજી ઠાકોર અને બીજા લોકોએ તેમને છોડાવ્યો હતો અને તાત્કાલિક સારવાર માટે થરા સરકારી રેફરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.

જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે અશોકજી વાલજીજી ઠાકોરને મૃત જાહેર કર્યા હતા.ભરતજી વાલજીજી ઠાકોરની ફરિયાદના આધારે પ્રહલાદભાઇ રામજીભાઇ નાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. એસ.એમ.પાંચીયા કરી રહ્યા છે.