થરાદ ભારતમાલા હાઇવે પર હોટલ સામે અજાણ્યી ગાડીએ મોટરસાઇકલને ટક્કર મારતાં થરાદના શિક્ષકનું મોત થયું હતું. પરિવારજનોએ અજાણ્યી ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે થરાદ પંથકમાં અકસ્માતના બનાવો વધુ બની રહ્યા છે. ત્યારે થરાદ પાસેથી પસાર થતાં ભારતમાલા હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં થરાદના શિક્ષકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

થરાદ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, થરાદ ધાનેરા રોડ મેસી ટ્રેક્ટર શો રૂમ સામે રહેતાં ગંગારામભાઈ સવજીભાઈ રાઠોડ શિક્ષક તરીકે નરસિંહનગર પ્રાથમિક શાળામાં શિક્ષક ફરજ બજાવતા હતા. જે ગત રોજ ઘરેથી મોટરસાઇકલ લઇને ખેતરમાં જવા નીકળ્યા હતા.

ભારતમાલાની બનતી હોટલ સામે ભારતમાલા રોડ ઉપર એક બ્રેઝા ગાડી નં. GJ-24-AF-2633 ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ગંગારામભાઈના મોટરસાઈકલને ટક્કર મારતાં માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેથી તેઓનું ઘટનાસ્થળે જર મોત નિપજ્યું હતું. બ્રેઝા ગાડીનો ચાલક ગાડી મુકી નાસી ગયો હતો. મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.