બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં શ્રી સોમારપુરીજી મહારાજ ગૌશાળાનો રજતજયંતી મહોત્સવ ઉજવાયો હતો.

 રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઇને દેશને પોષણયુક્ત અનાજ-પાક મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતો પશુપાલકોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, ખેતીમાં વધી રહેલ યુરિયા, ડી.એ.પી. અને જંતુનાશકોના વપરાશથી જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે.

જમીનમાં રહેલ પોષક તત્વો ઘટી રહ્યા છે. ધરતી માતાની પોતાની તાકાત ઘટી રહી છે, તો આપણને શું તાકાત આપશે ? ધરતીમાં રહેલ પોષકતત્વો નાશ પામવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી રહી છે અને કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક, કિડની સંબધિત બીમારીઓ વધી રહી છે. યુવાનો અને નાના બાળકો આજે હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે કૃષિ ઉત્પાદનોમાં પોષક તત્વો પાછાં મળે તેમજ નાગરિકોને સ્વાસ્થ્યપ્રદ જીવન મળે તે માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે.

વેદોમાં ગાયને સમસ્ત વિશ્વની માતા કહી છે, જ્યારથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી ગાય અમૃતમય દૂધ આપે છે. વૈજ્ઞાનિક સંશોધનમાં પુરવાર થયું છે કે, વિદેશી જર્સી ગાયના દૂધથી ગુસ્સો આવે છે, હાયપરટેન્શન વધે છે જ્યારે આપણી દેશી ગાયનું દૂધ બુદ્ધિ અને શરીર માટે સર્વોત્તમ છે. ગૌમૂત્ર અને ગોબર ખેતી માટે કિંમતી છે એમ જણાવી તેમણે ઘન જીવામૃતના ફાયદા, અળસીયાની ઉપયોગિતા સમજાવી હતી. આગામી સમયમાં ગુજરાતની ગૌશાળાઓ પ્રાકૃતિક કૃષિના કેન્દ્રો બનશે એમ જણાવી પશુપાલકોને ગૌ આધારિત ખેતી અપનાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અપીલ કરી હતી. રાજ્યપાલના અનુરોધને પગલે શેરપુરા સહિતના આજુબાજુના સાત ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો લીધો સંકલ્પ લીધો હતો.

આ પ્રસંગે રામરતનજી મહારાજ, સમસ્ત મહાજનના પ્રમુખ ગિરીશ શાહ, ગૌશાળાના અધ્યક્ષ દશરથ દેસાઈ, ઉપાધ્યક્ષ રમેશ જોશી, પોપટલાલ સુથાર, મણિલાલ જાટ સહિત ગૌશાળાના ટ્રસ્ટીઓ, સંચાલકો, ગૌસેવકો, ગ્રામજનો અને ખેડૂતો તથા પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સોમારપુરીજી મહારાજ ગૌશાળાના રજતજયંતી મહોત્સવમાં ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગૌશાળાની પ્રવૃત્તિઓ અને ગૌસેવકોની ગાયોની માતા-પિતા સમાન સેવા કરવાની ભવનાને બિરદાવી હતી. તેમણે ગૌશાળાને પાંચ લાખના દાનની જાહેરાત કરી હતી.