પાલનપુર એરોમા સર્કલે બુધવારે રાત્રે પસાર થઇ રહેલી કારમાંથી એલસીબીની ટીમે બિનહિસાબી રૂપિયા 1 કરોડ જપ્ત કર્યા હતા. જેમાં પાલનપુરના સોના-ચાંદીના બે વેપારી પાલનપુરના વેપારી કૃષાનભાઇ કનુભાઇ અગ્રવાલ અને મુકેશભાઇ લાલાભાઇ સોની સામે પશ્વિમ પોલીસ મથકે સીઆરપીસી 102 મુજબ ગુનો નોંધ્યો હતો. તે દરમિયાન આ રકમ અંગે અમદાવાદ આઇટી વિભાગ દ્વારા વેપારીઓની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

પાલનપુર એરોમા સર્કલે બુધવારે રાત્રે બનાસકાંઠા એલસીબીની ટીમ વાહન ચેકીંગની કામગીરી કરતી હતી. દરમિયાન ડીસા તરફથી આવેલી કાર નં. જીજે. 08.બી.એચ. 9898ને રોકાવી તલાસી લેતાં તેમાં બેઠેલા પાલનપુરના વેપારી કૃષાનભાઇ કનુભાઇ અગ્રવાલ અને મુકેશભાઇ લાલાભાઇ સોનીના કબ્જામાંથી રૂપિયા 500ના દરની 20,000 ચલણી નોટો કુલ રૂપિયા 1,00,00,000 મળી આવી હતી.

 આ અંગે એલ.સી. બી.પીઆઇ વી. જી.પ્રજાપતિએ જણાવ્યું હતુ કે,આ નાણાં અંગે બંને પાસે કોઇ બિલ,પાવતી કે હિસાબ ન હોવાથી રોકડ રકમ તેમજ રૂપિયા 70,000 ના મોબાઇલ નંગ 3, રૂપિયા 6,00,000 ની કાર મળી કુલ રૂપિયા 1,06,70,000નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. બંને સામે પશ્વિમ પોલીસ મથકે સી.આર.પી. સી. કલમ 102 ( ગેરકાયદે સંપત્તિ જપ્ત કરવી) નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ અંગે ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુ બનાસકાંઠાના પ્રમુખ અને પાલનપુર ચોક્સી સુવર્ણકાર એસોસિએશનના પ્રમુખ ભગવાનભાઇ ઠાકોરભાઇ સોનીએ જણાવ્યું હતું કે, 1 કરોડ સાથે પકડાયેલા વેપારી બુલિયન વેપારી છે. ડીસા અને પાલનપુરમાં ઓફિસ ધરાવે છે. રકમ કાયદેસર જ છે.ચૂંટણી વખતે સોના- ચાંદીના વેપારીઓએ શુ સાવચેતી રાખવી જોઇએ તેના માટે પાલનપુર પોલીસ હેડકવાર્ટસમાં જીલ્લાના તમામ સોના- ચાંદીના વેપારીઓનો સેમિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં જીલ્લાના પોલીસ અધિકારીઓએ તમામ માહિતી આપી હતી. છતાં વેપારીઓ ભૂલ કરી રહ્યા છે.

આ અંગે અમદાવાદ આઇ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારી લક્ષ્મણસિંહે જણાવ્યું હતું કે, બંને વેપારી પાસેથી પોલીસે રૂપિયા 1 કરોડ રોકડ કબ્જે લીધા છે. જે રકમ આઇ. ટી. વિભાગને સોંપવામાં આવી છે. વેપારીઓ આ નાણાં કયાંથી લાવી રહ્યા હતા. કાયદેસર છે કે ગેર કાયદે, નાણાં ક્યાં લઇ જવામાં આવતા હતા. સહિતના મુદ્દે ઇન્વેસ્ટીગેશન હાથ ધરવામાં આવ્યું છે. તપાસના અંતે નાણાં અંગેની સચોટ માહિતી મળી શકશે.