ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી ચૂંટણી અને લઈ બેઠક યોજાઇ હતી. ઉત્તર ગુજરાત અને જિલ્લાના આગેવાનોએ આવનાર લોકસભાની ચૂંટણીની સાથે સાથે તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ ધાનેરા અને થરાદ નગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા માટે સંગઠનને વધુમાં વધુ મજબૂત કરવા માટેની હાકલ કરાઈ હતી.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન જાહેર થતાં જ આપ દ્વારા બનાસકાંઠા જિલ્લાની ટીમના પદાઅધિકારીઓ, તાલુકા અને શહેરના પ્રમુખ સહિત આગેવાનોની અગત્યની બેઠક યોજાઇ હતી. ડીસામાં જૈન વિહાર ધામ ખાતે યોજાયેલ બેઠકમાં આવનાર લોકસભા ચૂંટણી અને નગરપાલિકા તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી અને અનુલક્ષીને સંગઠનને મજબૂત કરવા માટેની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

બેઠકમાં ઉત્તર ગુજરાતના સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ, જિલ્લા કાર્યકારી પ્રમુખ ડૉ. રમેશ પટેલ, બનાસકાંઠા લોકસભા પ્રમુખ વિજય દવે, લોકસભાના પ્રભારી આર.કે પટેલ, મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા, જિલ્લા પ્રમુખ ભીખાભાઈ કોરાટ અને કિસાન મોરચાના ઉપાધ્યક્ષ તેજાભાઈ દેસાઈ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક અંગે ઉત્તર ગુજરાતના સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ એ જણાવ્યું હતું કે, આવનાર ચૂંટણીઓને ગ્રાઉન્ડ ઝીરો પર કરી રીતે કામગીરી કરવી તે અંગેની ચર્ચા કરી છે. ગુજરાતમાં 2+24 ને લઇ અમારા બે ઉમેદવારને કેવી રીતે જીતાડી શકાય તે માટેની કામગીરી નું આયોજન કર્યું છે. સાથે જ બનાસકાંઠામાં તાલુકાને જિલ્લા પંચાયતની સાથે ધાનેરા અને થરાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને પણ સંગઠનને મજબૂત બનાવવા માટેની ચર્ચાઓ થઈ છે અને લોકોને કોઈપણ સમસ્યા હોય તો તાત્કાલિક આમ આદમી પાર્ટીના આગેવાનોનો સંપર્ક કરવા વિનંતી કરું છું કે જેથી અમે એ મુદ્દાઓ લડીશું.