પાટણ જિલ્લાના માર્ગો પર અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે અને આવા અકસ્માતના બનાવવામાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોય છે, ત્યારે બુધવારે સવારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાગલી ગામ પાસે ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે. લગ્નમાં જઈ રહેલા ફાગલી ગામના જોશી પરિવારની કાર આગળ અચાનક વન્ય પ્રાણી આવી જતાં એને બચાવવા જતા કાર રોડની સાઈડમાં આવેલ પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. જેથી કારમાં બેઠેલા એક જ પરિવારના પતિ-પત્ની અને બે પુત્રીઓના પાણીમાં ડૂબી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

આ ગોઝારા અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ફાગલી ગામના અને મુંબઈ ખાતે સ્થાઈ થયેલો જોશી પરિવાર પાંચ દિવસ પહેલા જ મુંબઈથી ભાણાના લગ્ન પ્રસંગના કારણે ગામમાં આવ્યો હતો. આવતીકાલે કચ્છમાં સમુહ લગ્નમાં ભાણાના લગ્ન હોવાથી ફાંગલીથી કચ્છમાં લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યો હતો, ત્યારે ફાગલી ગામથી થોડીક નજીક માર્ગ પરથી અચાનક કોઈ વન્ય પ્રાણી પસાર થતા તેને બચાવવા જતાં શિફ્ટ કાર રોડની બાજુમાં આવેલા પાણી ભરેલા ખાડામા ખાબકતા કારમાં સવાર જોશી પરિવારના પતિ-પત્ની અને પુત્રી અને ભાઇની પુત્રીનું પાણીમાં ડૂબી જવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ફાગલી માર્ગ પર સર્જાયેલા અકસ્માતના બનાવવાની જાણ ગ્રામજનોને થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

આ બનાવના પગલે પોલીસે પણ ઘટનાસ્થળે દોડી આવી મૃતકોની લાશોને પાણીમાંથી બહાર કાઢી પંચનામા કરી પીએમ અર્થે સાતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી હતી. એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજતા ફાગલી ગામમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે પરિવારના આક્રંદથી ગામમાં ગમગીની છવાઈ ગઇ છે.

આ અંગે સાંતલપુરના પી.એસ.આઈ હાર્દિક પરમારે જણાવ્યું હતું કે, બ્રાહ્મણ પરિવાર પોતાના ભાણેજના લગ્ન પ્રસંગમાં જતો હતો, ત્યારે કોઈ જાનવર વચ્ચે આવી જતા આ અકસ્માત સર્જાયો હતો અને કાર બાજુમાં તલાવડી જેવા ખાડામાં ખાબકી હતી. જેના કારણે ડૂબી જતાં ચાર લોકોના મોત થયા છે.

આ અંગે ફાગલી ગામના સરપંચ દલાભાઈ આયરે જણાવ્યું હતું કે, પાંચ દિવસ પહેલાં જ મુંબઈથી પરિવાર બહેનના ઘરે લગ્ન માટે ગામ આવ્યા હતા અને કચ્છના સામખયાળી ખાતે આવતીકાલે બ્રાહ્મણ સમાજના સમૂહ લગ્ન હતા એટલે આજે વહેલી સવારે બહેનના ઘરે મામરું લઈને જાત હતા. જોકે, વચ્ચે જ કાળ ભરખી ગયો હતો.

મૃતકોના નામ

મહેન્દ્રભાઇ કાંતિલાલ જોશી (પતિ)

ભાવિનાબેન મહેન્દ્રભાઇ જોશી (પત્ની)

દિશા મહેન્દ્રભાઈ જોશી (પુત્રી)

ઉર્વશી મુકેશભાઈ જોશી(ભાઈની દીકરી)

આ તરફ આજે વહેલી સવારે ગાંધીનગરમાં પણ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના દેલવાડ રોડ પર આવેલી નટરાજ હોટલ સામે આઈસર ટ્રકનું ટાયર ફાટી ગયું હતું. આથી ઘરે આવતાં મોડું થશે કહીને ક્રેન થકી ટ્રક ઊંચી કરાવી ડ્રાઇવર ટ્રકનું ટાયર બદલી રહ્યો હતો. એજ વેળાએ વેગનઆર કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને ટક્કર મારતાં 36 વર્ષીય ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ક્રેન ચાલકને શરીરે વધતી ઓછી ઈજાઓ થતાં માણસા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.