ચુડા તાલુકાના મીણાપુર ગામના યુવાનનું બાઈક કેનાલમાં ખાબકતા ગંભીર ઈજાઓ થઈ હતી. જે બાદ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.મીણાપુર ગામે રહેતો યુવાન મહેશભાઈ ઘનશ્યામભાઈ ગોહિલ બાઈક લઈને પોતના ગામથી બોટાદ મોબાઈલ લેવા માટે ગયો હતો. જે બાદ રાત્રીના સમયે યુવાન બોટાદથી મીણાપુર પરત ફરી રહ્યો હતો. ત્યારે વાણીયા વદરથી મીણાપુર વચ્ચે પસાર થતી બોટાદ શાખાની કેનાલ ઉપર સાયફંડ નાળુ બનાવામાં આવ્યું છે અને તેની બાજુમાં ડ્રાઈવર્ઝન પણ આપવામાં આવ્યું છે. પરંતુ ડ્રાઈવર્ઝન પાસે કોઈ બેરીકેટ તેમજ સાવધાની અંગેનું કોઈ પણ પ્રકારનું ચિહ્ન ન મૂકવામાં આવતા યુવાનનું બાઈક સીધું કેનાલમાં ખાબક્યું હતું. જેથી યુવાનને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ યુવાનનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું. જે બાદ પોલીસે યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.