ડીસા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં રેતી કપચી સહિત ખનીજનું વહન કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવાના સરકારના નિર્ણય બાદ પણ ટ્રાન્સપોર્ટરો દ્વારા વાહનોમાં જીપીએસ ન લગાવતા રોયલ્ટી પાસ ઇસ્યુ ન થવાના કારણે છેલ્લા ત્રણ દિવસથી હજારો ઉપરાંત વાહનોના પૈડા થંભી જતા ખાણ ખનીજ ઉદ્યોગ સપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. જેના કારણે રીયલ એસ્ટેટ ઉદ્યોગની પણ દિવાળી બગડી રહી છે.

જીપીએસ ન લગાવવા માટે છેલ્લા ઘણા સમયથી લીઝ હોલ્ડરો તેમજ ટ્રાન્સપોર્ટરો દ્વારા સરકારને અનેક રજૂઆતો કરવા છતાં પણ સરકારે કોઈ મચક ન આપતા આખરે સરકારને પ્રતિદિન રોયલ્ટીની કરોડો રૂપિયાની આવક ગુમાવવાનો વારો આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ખનીજ ચોરી રોકવા ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત પણે લગાવવાનો આદેશ કર્યો છે. તેમજ જે વાહનો જીપીએસ સિસ્ટમ સાથે રજીસ્ટ્રેશન ન થયું હોય તે વાહનોના રોયલ્ટી પાસ ન નીકળે તેવી વ્યવસ્થા ગોઠવી છે. સરકારે વાહનોમાં જીપીએસ લગાવવા માટેની મુદ્દત 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ઓક્ટોબર સુધીની કરી હતી. આ દરમિયાન રાજ્યભરના લીઝ હોલ્ડરો, ટ્રાન્સપોર્ટરો દ્વારા સરકારમાં રજૂઆત કરી આ નિર્ણય પાછો ખેંચવા રજૂઆત કરી હતી. સરકાર આ નિર્ણય પ્રત્યે હકારાત્મક પ્રતિસાદ આપશે તેવી આશાએ વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવી ન હતી.

જોકે, સરકાર દ્વારા કડકાઇ ભર્યો નિર્ણય લઈ તારીખ 2 નવેમ્બરથી જ જીપીએસ સિસ્ટમ સાથે રજીસ્ટ્રેશન ન હોય તેવા વાહનોનો રોયલ્ટી પાસ નીકળવાનો બંધ કરી દીધો હતો. જેના કારણે ડીસામાં 500થી વધુ વાહનોના પૈડા થંભી ગયા છે. જ્યારે અન્ય રાજ્યોમાંથી રેતી કપચી સહિત ખનીજ ભરવા આવેલા વાહનો પણ અટવાઈ ગયા છે. ડીસામાં પણ છેલ્લા ત્રણ દિવસથી રોયલ્ટી પાસ ન નીકળવાના કારણે ખાણ ખનીજ ઉદ્યોગ પણ સંપૂર્ણ ઠપ્પ થઈ ગયો છે. જેના કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રની કામગીરી અને મોટી અસર થતા ખાણ ખનીજ અને રીયલ એસ્ટેટ ક્ષેત્રની દિવાળી બગડી રહી છે. સરકારે ખનીજ વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવા નવ જેટલી ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપેલો છે, પરંતુ કંપનીઓ પાસે પણ જીપીએસની ડિવાઇસ ઉપલબ્ધ ન હોવાથી વાહન માલિકો મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

રાજ્યમાં ખાણ ખનીજ ઉદ્યોગ સંપૂર્ણ ઠપ્પ થઈ જતા સમગ્ર ગુજરાતમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રને પણ મોટી અસર થઈ છે. બાંધકામ સાઈટો પર તેમજ આરએમસી પ્લાન્ટો પર રેતી કપચીનો જથ્થો ન પહોંચવાના કારણે પ્લાન્ટો તેમજ સાઈટો બંધ થતા બિલ્ડરોના સૌથી મોટા એસોસિએશન ક્રેડાઈ ગુજરાતે રાજ્યના મુખ્યમંત્રી તેમજ ખાણ ખનીજ વિભાગના કમિશનરને લેખીત રજૂઆત કરી ખનીજ વહન કરતા વાહનોને દિવાળી સુધી રાહત આપવા ભલામણ કરી છે.