આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ગોલાણા ગામે કોઈ ચોર શખ્સોએ એક મકાનના મુખ્ય દરવાજા આગળની જાળી તથા દરવાજો અને અંદરના દરવાજાના લોક તોડી મકાનમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂ.1.95 લાખની મત્તા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાઇ છે.

મળતી માહિતી અનુસાર ખંભાત તાલુકાના ગોલાણા ગામે શહીદનગર વિસ્તારમાં રમેશભાઈ જેઠાભાઈ ચૌહાણ પોતાના પરિવાર સાથે રહે છે અને ખેતી કરીને જીવન ગુજરાન ચલાવે છે. રાત્રિના અરસામાં કોઈ ચોર શખ્સોએ રમેશભાઈ ચૌહાણ ના મકાનના મુખ્ય દરવાજા આગળની જાળી દરવાજો અને અંદરના દરવાજાના લોક તોડી નાખી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં મુકેલ સોના ચાંદીના દાગીના સોનાનો સેટ, સોનાના દોરા, સોનાના લોકેટ, સોનાની પટ્ટી ચડાવેલ પાટલા, સોનાની કડીઓ, સોનાનું કડુ, સોનાની બુટ્ટી, ચાંદીના ઝાંઝર,છડા, કડુ, મંગળસૂત્ર, કેડઝૂડો, લકી મળી કુલ 1.95 લાખની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા આ અંગે રમેશભાઈ જેઠાભાઈ ચૌહાણની ફરિયાદ લઈ ખંભાત ગ્રામ્ય પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(સલમાન પઠાણ ખંભાત)