આગામી તા. ૨૩ થી તા.૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમિયાન વિશ્વ પ્રસિધ્ધ યાત્રધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. આ મેળામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવવાની ધારણાને લઇ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યાપક તૈયારીઓ અને સુવિધાઓ કરવામાં આવી રહી છે. 

          અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે ત્યારે દૂર દૂરથી પગપાળા ચાલી આવતા શ્રદ્ધાળુઓને ચાલવામાં કે દર્શન કરવા જવામાં કોઇ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપનીલ ખરેના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે. કે. ચૌધરી અને અંબાજી ગ્રામ પંચાયતની સંયુક્ત ટીમો દ્વારા તા. 13 અને 14 સપ્ટેમ્બરના રોજ બે દિવસીય દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં મંદિરને જોડતા રસ્તાઓ પર જે વેપારીઓ દ્વારા દુકાનની આગળ છજા અને ઓટલાઓ પર દબાણ કરવામાં આવ્યું હતું તે દબાણ તેમજ નડતરરૂપ લારી ગલ્લા અને કેબીનોનું દબાણ ગ્રામ પંચાયત દ્વારા પોલીસ તંત્ર અને યુજીવીસીએલની ટીમના સહકારથી દૂર કરવામાં આવ્યા હતા. અંબાજીમાં છેલ્લા ૨ દિવસ દરમિયાન આશરે 300 દુકાનો આગળના દબાણ દૂર કરવામાં આવ્યા છે. આ દબાણ દૂર કરવામાં અંબાજીના મોટાભાગના વેપારીઓએ પણ વહીવટી તંત્રને સાથ સહકાર આપી સ્વેચ્છાએ દબાણ દૂર કરતા દબાણ દૂર કરવામાં તંત્રને પણ રાહત અનુભવી હતી.