સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ વીરા હોટેલ સામે રહેતા અને બિલ્ડરનો વ્યવસાય કરતા કલ્પેશ છોટાલાલ શાહએ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું હતું કે, તેઓને હિતેન્દ્ર ઉર્ફે હિતેષ બજરંગ ભગવાનજીભાઈ નાયકપરાએ મારવેલ રોજ નામના બિલ્ડિંગમાં ઓફિસે બોલાવ્યા હતા. અને બાંધકામના રૂ. 50,00,000 આપવાના હતા તે હવે હું નહીં આપું અને બીજા રૂ. 50,00,000 આપવા પડશે તેમ કહી દબાણકર્તા કલ્પેશભાઈ શાહે કહ્યું કે મારે પૈસા લેવાના છે તમે શેના માગો છો. તેમ કહેતા હિતેષભાઈ બજરંગ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી હતી.પૈસાની વ્યવસ્થા નહીં કરે તો બાર બોરના લાઇસન્સવાળા હથિયારથી ભડાકે દઇ મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત હિતેષભાઈ બજરંગે પોતાના હાથમાં તલવાર જેવા તીક્ષ્ણ હથિયારથી કલ્પેશભાઈના બરડામાં એક ઘા માર્યો હતો. અને કલ્પેશભાઇના દીકરા મેઘ વચ્ચે છોડાવવા પડતા તેને પણ જમણા હાથે કોણી ઉપર તલવારનો ઊંડો ઘા મારી બંનેને સામાન્ય ઇજા કરી હતી. આ અંગે ગુનો નોંધાતા તપાસ પીએસઆઈ એચ.એસ. જાડેજા ચલાવી રહ્યા છે.બીજી તરફ ગત વિધાનસભાની ચૂંટણીમાં જ આપના પક્ષમાંથી હિતેષભાઈ બજરંગ ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણીની રસાકસીમાં કોંગ્રેસને પાછળ રાખીને બીજા નંબરે રહ્યા હતા. ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખે બિલ્ડર અને તેના દીકરા પર હુમલો કરતા ચકચાર ફેલાઇ હતી.