ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને " મોદી ઇઝ ધ બોસ " કહી સમગ્ર દુનિયામાં આપણું ગૌરવ વધાર્યું છે: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ..

જનસમર્થન અભિયાનમાં જોડાઈ ફરી એકવાર દેશનું સુકાન નરેન્દ્રભાઇ મોદીને સોંપવા અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ..

ભારતના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુસશનને ૩૦મી મેના રોજ નવ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ નવ વર્ષમાં દેશની જનતાનો અપાર પ્રેમ સાંપડ્યો છે અને વિશ્વના એક માત્ર એવા નેતા છે કે જેમણે જનતાની અપેક્ષા પૂર્ણ કરી, જનતાનો વિશ્વાસ અને પ્રેમ જીત્યો છે તેવા વિરલ વ્યકતિત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના નવ વર્ષ દરમિયાન થયેલા પ્રજાલક્ષી વિકાસકામોને જન જનસુધી પહોંચાડવાનું અભિયાન એટલે મહા જનસંપર્ક અભિયાન..

મહાજનસંપર્ક અભિયાન થકી જનસમર્થનની યાત્રામાં આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટયાર્ડ ખાતે રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. થરાદ માર્કેટયાર્ડ દ્વારા આયોજિત વિશાળ જનસંમેલનમાં

બનાસકાંઠા જિલ્લાની ભાતીગળ ઓળખ અને સાંસ્કૃતિક સમન્વય સાથે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ખૂબ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે ૨૦૧૪ પહેલાની દેશની પરિસ્થિતીનો ચિતાર રજુ કરતા જણાવ્યું કે ભારત દેશ આંતરિક તેમજ બાહ્ય સમસ્યાઓથી ઘેરાયેલું હતું અને તે સમયે ગુજરાતના વિકાસ મોડલને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરનાર નરેન્દ્રભાઈ મોદી એક માત્ર આશાની કિરણ હતા. કરોડો ભારતવાસીઓએ, રાષ્ટ્ર ભક્તોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં ભારતના ભવિષ્ય માટે વિશ્વાસ મુક્યો અને જન જનની અપેક્ષાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પારદર્શક સુશાસનથી પૂર્ણ કરી પ્રજા એ મુકેલા વિશ્વાસ ને વિકાસમાં પરિવર્તીત કરી બતાવ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દુનિયાએ વિશ્વાસ મુક્યો છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને " મોદી ઇઝ ધ બોસ " કહી સમગ્ર દુનિયામાં આપણું ગૌરવ વધાર્યું છે. શાસન અને સુશાસનમાં શુ ફેર હોય એ નરેન્દ્રભાઇ મોદીએ બતાવ્યું છે. 

નાનામાં નાના અને છેવાડાના માણસને કઈ રીતે મદદ પહોંચાડી સરકારી યોજનાઓને ખરા અર્થમાં જનકલ્યાણકરી યોજનાઓ કરી બતાવી છે. નવ વર્ષના આ સુશાસનમાં 11.81 કરોડ પરિવારોને નલ સે જળ યોજના હેઠળ પીવાનું પાણી પહોચાડ્યું છે. દુનિયાની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા કવચ આપતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારતના 23.3 કરોડ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યાં છે. અને 4.54 કરોડ લાભાર્થીઓએ તેનો લાભ મેળવ્યો છે. ડિજિટલ ઇન્ડિયા મુવમેન્ટની શરૂઆત કરતાં આજે વિશ્વમાં ડિજિટલ પેમેન્ટના 40 ટકા પેમેન્ટ ભારતમાં થાય છે. કોવિડની મહામારી દરમિયાન 80 કરોડ લોકોને અનાજ પૂરું પાડ્યું છે. તો પી.એમ.આવાસ યોજના હેઠળ 15 કરોડ લાભાર્થીઓને ઘરનું ઘર મળ્યું છે. પી.એમ સ્વનિધિ યોજના હેઠળ 34.35 લાખ લારી ગલ્લા અને ફેરિયાઓને લાભ મળ્યો છે. આખા દેશમાં મેડિકલ કોલેજો 641 હતી તે વધારી 1341 કરી છે. તો ડોકટર્સની સીટ 82,464 થી વધી 1,52,129 સીટો થઈ છે. તો 2014 પહેલાં આખા દેશમાં 8 એઇમ્સ હોસ્પિટલ હતી. તે પ્રધાનમંત્રીશ્રીએ 2023માં 23 કરી છે. 

બનાસકાંઠા જિલ્લાની પાણીની સમસ્યાને કાયમી ધોરણે નિવારવા માટે જાહેરાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સુજલામ સુફલામ યોજનાની થરાદ સીપૂ અને ચાંગા દાતીવાડા પાઇપ લાઈનો વચ્ચેનો દિયોદર, લાખણી, ડીસા, થરાદ , વગેરેના આશરે ૧૧૫ ગામોનો વિસ્તાર આજે પણ સૂકો છે અને તેને નર્મદાનું પાણી મળી રહે તે માનનીય પ્રધાનમંત્રીશ્રી નું સ્વપ્ન છે. જેને સાકાર કરવા માટે ગુજરાત સરકારે એક નવી પાઈપ લાઈન મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. આ માટે દિયોદર તાલુકાના વાડિયા ગામ કે તેની નજીક યોગ્ય સ્થળ પરથી ૨૫૦ ક્યુસેક ક્ષમતા ધરાવતી લગભગ ૬૨ કી.મી. લંબાઈ ની પાઈપ લાઈન રૂ. ૧૪૫૦ ના અંદાજિત ખર્ચ સાથે નાખવામાં આવશે. જેથી આ વિસ્તારની પાણીની સમસ્યાનો તો ઉકેલ આવશે, પણ આ વિસ્તાર હરિયાળો બનશે એમ જણાવ્યું

હતું.