જાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS)માં ૯૧.૨૮ પોઈન્ટ મેળવી સમગ્ર રાજ્યમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સિદ્ધિ હાંસલ કરી

રાજ્ય સરકારની સ્વાસ્થ સેવાઓને છેવાડા માનવી સુધી પહોંચાડવા આરોગ્ય વિભાગ કટિબદ્ધ

પ્રાથમિક સારવાર, પ્રસુતિ, વિવિધ પ્રકારના ટેસ્ટ, રસીકરણની કામગીરી સાથે સ્વાસ્થ્યને લગતી અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ

જાળીયા ઉપરાંત આસપાસનાં ૧૯ ગામના દર્દીઓ માટે આશિર્વાદ સમાન જાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજ્ય સરકારની સ્વાસ્થ સેવાઓને છેવાડા માનવી સુધી પહોંચાડવા રાજ્યનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કટિબદ્ધ છે.

 ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા છેવાડાના માનવીના સ્વાસ્થ્ય અને તેના જીવનને આરોગ્યપ્રદ રીતે ટકાવી રાખવામાં રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)નો મહત્વનો ફાળો છે.

અમરેલી જિલ્લામાં કાર્યરત જાળીયા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેનું આદર્શ ઉદાહરણ છે.

ખાનગી આરોગ્ય કેન્દ્રો કરતાં પણ સારી સુવિધા અને સ્વચ્છતા સાથે રાષ્ટ્રીય માનકોને હાંસલ કરતું આ આરોગ્ય કેન્દ્ર એ જાળીયા ઉપરાંત આસપાસનાં ૧૯ ગામના દર્દીઓ માટે આશિર્વાદ સમાન છે.

 તાજેતરમાં જ જાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS)ની તપાસણીમાં સમગ્ર રાજ્યમાં અવ્વલ સ્થાન મેળવ્યું છે.

રાજ્યના અન્ય આઠ આરોગ્ય કેન્દ્રોની વચ્ચે ૯૧.૨૮ પોઈન્ટ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી આ સિદ્ધી હાંસલ કરી છે. મહત્વનું એ છે કે, આ કેન્દ્ર પર રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ સ્વાસ્થ્ય કાર્યક્રમોનો સુચારુરુપે અમલ કરવામાં આવે છે.

 દર્દીઓ માટે સ્વચ્છ અને સુઘડ સુવિધા સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ તમામ સારવાર આપવામાં આવે છે. 

     જાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આ સિદ્ધી ઓ.પી.ડી. આઈ.પી.ડી. લેબર રુમની સુવિધા, સામાન્ય વહીવટ, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ, લેબોરેટરીની સુવિધાના માપદંડના આધારે મળી છે.

અહીં એક એમ.બી.બી.એસ તબીબ અને એક આયુષ ડૉક્ટર કાયમી સારવાર માટે ઉપલબ્ધ છે. આ સિવાય ૧૯ પ્રકારના વિવિધ ટેસ્ટની સુવિધા પણ આ કેન્દ્ર ખાતેની લેબોરેટરીમાં ઉપલબ્ધ છે.

પુરુષ અને મહિલા દર્દીને દાખલ કરવા માટે અલાયદા વોર્ડ પણ ઉપલબ્ધ છે.

દવાઓનો પૂરતો અને વ્યવસ્થિત રીતે ગોઠવીને યોગ્ય સ્થાને ગોઠવવામાં આવેલો જથ્થો તેમજ સારવાર માટેના સાધનોની સામગ્રી પણ કાયમી ધોરણે ઉપલબ્ધ છે. 

રોગજન્ય ઋતુઓ સિવાયના દિવસોમાં આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રોજના આશરે ૩૫-૪૦ દર્દીઓ તેમના આરોગ્યની તપાસણી અર્થે આવે છે.

દર સોમવારે સગર્ભા મહિલાઓની તપાસ માટે મમતા ક્લિનિક કાર્યરત છે. જ્યારે દર બુધવારે મમતા સેશન ફિલ્ડમાં જઈને લેવામાં આવે છે. 

          જાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ મેડિકલ ઓફિસર ડૉ.અલ્પા ઠક્કરે જણાવ્યું કે, આ વર્ષે જાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ નેશનલ ક્વોલિટી એશ્યુરન્સ સ્ટાન્ડર્ડમાં સર્ટિફિકેટ (NQAS) મેળવ્યું છે.

આ સર્ટિફિકેટ ત્રણ વર્ષ દરમિયાન મળ્યું છે. આ સર્ટિફિકેટ કેન્દ્ર સરકારના સ્ટાન્ડર્ડ મુજબ રાષ્ટ્રીય ટીમ દ્વારા માર્કિંગ આપવામાં આવે છે.

 આ સ્કોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની છ સુવિધાઓના આધારે આપવામાં આવે છે. અહીં તમામ સુવિધાઓ ધારાધોરણ મુજબ આપવામાં આવે છે.

અહીં ૨૪×૦૭ પ્રસુતિની સેવા પણ ઉપલબ્ધ છે. ગ્રામજનો તેનો લાભ લઈ શકે છે. 

   જાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. રિયા રૂઘાણીએ જણાવ્યું હતું કે, અહીંયા તમામ પ્રકારની પ્રાથમિક સારવાર, દવાઓ, લેબોરેટરી ટેસ્ટ, છ બેડ ઉપલબ્ધ છે.

અહીં આરોગ્યલક્ષી તમામ પ્રકારના કેમ્પ પણ થાય છે. શાળા પ્રવેશોત્સવ, વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ રક્તદાન દિવસ દરમિયાન જાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવે છે. જાળીયાની વસતિ આશરે ૨,૭૦૦ છે,

અહીં મલેરિયા, ડેન્ગ્યુ, તાવ, શરદી ઉધરસ સહિતના કોઈ પણ પ્રકારના પ્રાથમિક રોગોની સારવાર સ્થાનિક સ્તરે આપવામાં આવે છે.

 આ ઉપરાંત આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ સહિતના સાધનોની સુવિધા પણ છે. 

   અહીં સારવાર માટે આવતા દર્દીઓ પણ ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓથી સંતુષ્ટ છે.

 આ અંગે પ્રતિભાવ આપતા મોટા ભંડારિયા કૃષિ મહાવિદ્યાલયના વિદ્યાર્થી શ્રી મયૂરભાઈ જણાવે છે કે, અહીંનો સ્ટાફ, તબીબો અને તેમના દ્વારા આપવામાં આવતી આરોગ્યલક્ષી સેવાઓ ખૂબ જ સારી છે.

 અહીંથી દર મહિના તબીબ અમારી હૉસ્ટેલમાં મુલાકાત અને નિદાન અર્થે આવે છે.

  ઉલ્લેખનીય છે કે, અગાઉ આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, નિમિષાબેન સુથાર સહિતના મંત્રીશ્રી પણ જાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ચૂક્યા છે.

 ત્યારે ગ્રામીણ વિસ્તારમાં ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરતા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું આ પ્રેરક ઉદાહરણ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.