લીંબડી એસટી ડેપોમાં મેનેજરને ફરજ પરથી ડિસમિસ કરતાં ચકચાર મચી જવા પામી છે. એસટી વિભાગની ઉચ્ચ કચેરી દ્વારા લીંબડી એસટી ડેપોના મેનેજરની હકાલપટ્ટી કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેપો મેનેજરને ડિસમિસ કરવા પાછળ ખોટી ડિગ્રી રજૂ કરાઈ હોવાનું કારણ સામે આવી રહ્યું છે. જો કે એસટી વિભાગના અધિકારીઓ હાલ તો ડેપો મેનેજરને ડિસમિસ કરવા પાછળનું સ્પષ્ટ કારણ જણાવવાનું ટાળી રહ્યા છે.એસટી વિભાગ દ્વારા ગોંડલના સંજયભાઈ પરમારને વર્ષ-2011માં ડેપો મેનેજર તરીકે ફરજ પર રાખવામાં આવ્યા હતા. 11 વર્ષથી વધુ સમય સુધી સંજય સુરેન્દ્રનગર, રાજકોટ સહિત જિલ્લાના એસટી ડેપોમાં ફરજ બજાવી હતી. એકાદ માસ અગાઉ સંજય પરમારને લીંબડી ડેપોના મેનેજર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.એસટી વિભાગ દ્વારા એકાએક સંજય પરમારને નોકરી પરથી બરતરફ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ડેપો મેનેજરને ડિસમિસ કરાતાં જ એસટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ડેપો મેનેજરને ક્યાં કારણોસર ડિસમિસ કરવામાં આવ્યા તે રહસ્ય પરથી પડદો ઉઠ્યો નથી. પરંતુ એસટી વિભાગના જ વિશ્વસનીય વ્યક્તિએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે વર્ષ-2011માં સંજય પરમાર ફરજ પર લાગ્યા ત્યારે રજૂ કરેલી ડિગ્રી ખોટી હતી. ઘણાં સમયથી આ બાબતે એસટી તંત્ર છૂપી રાહે તપાસ કરી રહી હતી.યોગ્ય પુરાવા મળતાં ડેપો મેનેજરને ડિસમિસ કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે આ અંગે એસટી વિભાગના અધિકારીઓ સ્પષ્ટ કારણ જણાવવાનું ટાળી રહ્યા છે. ડેપો મેનેજરને ડિગ્રીને કારણે ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા તે કારણ બહાર આવશે તો આની પાછળ મોટું કૌભાંડ કે રેકેટ બહાર આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.