સુરેન્દ્રનગર શહેરની ટી.બી.હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગમાં ડોક્ટર સાથે મારામારીની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ચાર જેટલા માથાભારે શખ્સો દ્વારા ટીબી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં ડોક્ટર સાથે મારામારીની ઘટનાને અંજામ આપ્યા બાદ હોસ્પિટલમાં તોડફોડ પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.આ ગોઝારી ઘટનાને લઈ ડોક્ટરી એસોસિએશનમાં ભારે રોષ ફેલાયો છે. જિલ્લામાં ડોક્ટરો ઉપર વધતા હુમલાના બનાવને લઈ ડોક્ટર એસોસિએશનમાં રોષ ભભૂક્યો છે. ટીબી હોસ્પિટલમાં ફરજ ઉપર રહેલા ડોક્ટર પર બીપી માપવાના મશીન અને દર્દીઓને ચેકઅપ માટે બેસાડવાના ટેબલથી હુમલો કરાયો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે ઘટનાને લઇ ટીબી હોસ્પિટલમાં દોડધામ થઈ ગઈ હતી. જ્યારે 4 શખ્સો હુમલો કરી અને ફરાર થઈ ગયા હતા.આ ચકચારી ઘટના બાદ 24 કલાકમાં ડૉક્ટર પર હુમલો કરનારા નહીં ઝડપાયા તો ડોક્ટરો દ્વારા હડતાળ પર ઉતરવાની ચીમકી અપાઈ છે. ગત રાત્રે ટી.બી હોસ્પિટલમાં દર્દીના સગા દ્વારા ડો. શીવરાજસિંહ પર ઘાતક હુમલો કરાયો છે. ત્યારે આ ઘટનાને લઈ ટી.બી.હોસ્પિટલના ડૉક્ટરો અને ટ્રસ્ટી વચ્ચે ખાસ બેઠક યોજાઈ હતી. તમામ ઘટનાના CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.