અગમચેતી એજ સલામતી: કમોસમી વરસાદને ધ્યાને લઇ બનાસકાંઠા જિલ્લા ખેડૂતો જોગ સંદેશ..હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા. ૦૨/૦૫/૨૦૨૩ થી ૦૫/૦૫/૨૦૨૩ સુધી ગુજરાતમાં માવઠાની અમદાવાદ , આણંદ , બનાસકાંઠા , દાહોદ , ગાંધીનગર , મહેસાણા , પંચમહાલ , પાટણ , સાબરકાંઠા , વડોદરા , છોટા ઉદેપુર , નર્મદા , ભરુચ , ડાંગ , તાપી , સુરત , વલસાડ તેમજ સૌરાષ્ટ્ર - કચ્છના અમરેલી , ભાવનગર , બોટાદ , દ્વારકા , ગીર સોમનાથ , જામનગર , મોરબી , રાજકોટ , સુરેન્દ્રનગર અને કચ્છ જીલ્લામાં હળવા થી મધ્યમ ગાજ - વીજ સાથે કમોસમી વરસાદ ની આગાહી થયેલ છે . જેથી આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે , તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે.કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક , ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી , અથવા પ્લાસ્ટિક / તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી. માં વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે . એ.પી.એમ.સી. માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા . એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા . આ અંગે વધુ જાણકારી જે તે વિસ્તારના ગ્રામ સેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક ( તા.મુ. ) , જિલ્લા ખેતીવાડી અધિકારી , નાયબ ખેતી નિયામક ( તાલીમ ) , અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર - ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જણાવ્યું છે.