બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ અન્વયે આવેલી ફરિયાદનું સો ટકા નિરાકરણ

 દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રજાજનોની ફરિયાદોના નિરાકરણ માટે રાજ્યમાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમની શરુઆત 24મી એપ્રિલ 2003ના રોજ કરી હતી. આ સ્વાગત કાર્યક્રમને આગામી 24મી એપ્રિલના રોજ 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણયને પગલે સમગ્ર રાજ્યમાં એપ્રિલ મહિનાનું અંતિમ અઠિવાડિયું સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે.

         જે અંતર્ગત જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલની અધ્યક્ષતામાં ૨૭ એપ્રિલના રોજ કલેક્ટર કચેરી પાલનપુરના મિટિંગ હોલમાં યોજાશે. સ્વાગત કાર્યક્રમ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટેનો સેતુ બન્યો છે. જેના લીધે લોકોને પણ સરકારના પ્રજાલક્ષી અને લોકાભિમુખ વહીવટની પ્રતિતિ થઈ છે.જિલ્લામાં પ્રજાના પ્રાણ પ્રશ્નોનું સો ટકા નિરાકરણ લાવી બનાસકાંઠા જિલ્લા વહવટીતંત્રએ લોકોમાં પારદર્શક વહીવટની ભૂમિકા પ્રસ્થાપિત કરી છે. જેને પગલે સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ન્યાય મેળવનાર અરજદારો સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

         આવા જ એક અરજદાર ડીસા તાલુકાના વડાવલ ગામના કેસરભાઈ ખેંગારભાઈ રબારીએ જિલ્લા સ્વાગત કાર્યક્રમ અન્વયે તેમની અરજીનો યોગ્ય નિકાલ આવતાં જિલ્લા વહીવટી તંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ જમીન રી સર્વેની કામગીરી દરમિયાન તેમની જમીનનું ક્ષેત્રફળ ઘટ્યું હતું. જે બાબતની રજુઆત તેમણે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કરી હતી. જેમની રજૂઆતને કલેક્ટરશ્રી દ્વારા સાંભળી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. ફરીથી જમીન માપણી પ્રક્રિયામાં કેસરભાઈની જમીન ની ઘટ નો પ્રશ્ન ઉકેલાઇ ગયો હતો. અને તેમના હક ની અને હિસ્સાની જમીન તેમને મળતાં તેમની ખુશીનો પાર રહ્યો ન હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમ થકી મને ન્યાય મળ્યો છે. મારી અરજીનો સંતોષકારક જવાબ મળ્યો એ બદલ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રનો અને રાજ્ય સરકારનો આભાર માનતા કેસરભાઈ એ સ્વાગત કાર્યક્રમને લોકો માટે ઘણો ઉપયોગી હોવાનું જણાવ્યું હતું.

      નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે જાન્યુઆરી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૪૮ અરજીઓ આવી હતી. જેનો જિલ્લા સ્વાગત કમિટી દ્વારા સો ટકા હકારાત્મક નિવારણ લાવવામાં આવ્યું છે.