થરાદ ખાતે શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ દ્વારા વિધાનસભાના અધ્યક્ષશ્રી અને લોકપ્રિય ધારાસભ્યશ્રી શંકરભાઈ ચૌધરીનો સત્કાર- સન્માન સમારંભ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

વિધાનસભામાં અધ્યક્ષ નહિ આપણું થરાદ બેઠું છે એવી લાગણી થાય તો માનજો આપણી વચ્ચે લાગણી અકબંધ છે : અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

 શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ થરાદ દ્વારા શ્રી આંનદ પ્રકાશ વિદ્યાલય થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને થરાદના લોકપ્રિય ધારાસભ્યશ્રી શંકરભાઈ ચૌધરીના સત્કાર- સન્માન સમારંભ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં થરાદ તેમજ આસપાસ વિસ્તારના ઔદિચ્ય બ્રાહ્મણ સમાજના આગેવાનો વડીલો અને યુવાઓ દ્વારા ગુજરાત વિધાન સભાના અધ્યક્ષશ્રી શંકર ભાઈ ચૌધરીને શાલ ઓઢાડી, મોમેન્ટો અર્પણ કરી, સાફો બાંધી- ફુલહાર પહેરાવી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઇ ચૌધરીએ બહુ ભાવુકતા સાથે બ્રહ્મ સમાજના આગેવાનો, વડીલો ,અને યુવાઓમાં પોતાના માટે રહેલો આદર, પ્રેમ અને સત્કારને જોઈને મારા માટે આનાથી મોટું સન્માન શુ હોઇ શકે ? સમગ્ર બ્રહ્મ સમાજની લાગણીનો ઋણ સ્વીકાર કરતાં આભાર માન્યો હતો. તેમજ પોતાનો ઘરનો પ્રસંગ હોય ને જે ખુશી થાય એવી અનુભૂતિ પોતે અનુભવી રહ્યા હોવાનું જણાવી ઉપસ્થિત બ્રહ્મ સમાજને ધન્યવાદ આપ્યા હતા. 

વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ટીવીમાં જોતા જોતા એમ થાય કે વિધાનસભામાં અધ્યક્ષ નહિ આપણું થરાદ બેઠું છે તો માનજો આપણો લાગણીનો સેતુ અકબંધ છે. તમારુ માથું સદાય ઊંચું રહે એવા સેવા કાર્યો કરતો રહીશ એવી ખાત્રી આપી હતી. આ પ્રસંગે તેમણે શ્રી આનંદ પ્રકાશ વિધાલય ટ્રસ્ટને 9 લાખ રૂપિયાના અનુદાનની જાહેરાત કરતાં શાળામાં ભૌતિક સુવિધાઓની સાથે ડિજિટલ ક્રાંતિ સાથે સમન્વય સાધી વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દી ઘડતર અને સ્પર્ધાત્મક પરિક્ષાઓને ધ્યાનમાં રાખી શૈક્ષણિક સેમિનારો યોજવા અને તજજ્ઞોનું માર્ગદર્શન લેવા અનુરોધ કર્યો હતો. તેમણે યુવાઓને ખેતી, ઉદ્યોગ, વ્યવસાય સહિત વિદેશ અભ્યાસની ઉજ્જવળ તકો થકી નવા ક્ષેત્રો અને નવી ક્ષિતિજો સર કરવા આહવાન કર્યું હતું. આગામી સમયમાં થરાદ વિસ્તારમાં એક વિશાળ હોસ્પિટલ નિર્માણ અને જી.આઇ.ડી.સી ના સંકલ્પને સાકાર કરવાની નેમ વ્યક્ત કરતાં આ કામો ટૂંક સમયમાં શરૂ થશે. જ્યારે આ વિસ્તારના 97 ગામોની પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટેનું આયોજન કરી આ વિસ્તારને હરિયાળો અને પાણીદાર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારનું હિત સદાય હૈયામાં છે એમ જણાવતાં પ્રજાના કલ્યાણની સાથે પશુ પંખી વૃક્ષો અને પ્રકૃતિના આશીર્વાદ મળે એવું નિયતિએ નિરધાર્યું હશે એટલે મને જનસેવાની તક મળી છે.

આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખશ્રી દિનેશભાઈ દવે, ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ (ગુડા) ના પૂર્વ અધ્યક્ષશ્રી આશીષ ભાઈ દવે, બનાસ બેન્કના ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ પટેલ, પ્રાંત અધિકારીશ્રી થરાદ કે.એસ.ડાભી, સમાજના ભામાશા ભાનુભાઈ ભાંખરીયા, અગ્રણીશ્રીઓ હરચંદજી રાજપુરોહિત, કનુભાઈ વ્યાસ, બ્રહ્મ સમાજ કેળવણી મંડળના પ્રમુખ ભૂરાલાલભાઈ, મંત્રીશ્રી રામભાઈ ભુરિયા સહિત થરાદ બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.