ડીસામાં હત્યાના કેસમાં યુવકને આજીવન કેદ: ધાનેરાના સિયા ગામે પાંચ વર્ષ અગાઉ પરસ્ત્રી સાથેના આડા સંબંધ મામલે ઠપકો આપતા પતિએ પત્નીની કુહાડીના ઘા મારી હત્યા કરી હતી

ધાનેરા તાલુકાના સિયા ગામે રહેતા 27 વર્ષીય મણીગર ગોસ્વામીના લગ્ન થયા હોવા છતાં જેબર નામની પર સ્ત્રી સાથે આડા સંબંધો હતા. જે મામલે મણીગરની પત્ની રેખાબેન તેને વારંવાર ઠપકો આપી સમજાવતી હતી, પરંતુ પ્રેમમાં અંધ બનેલા મણીગરને તેની પત્ની તેના પ્રેમમાં આડખીલી રૂપ લાગતા તેનું કાસળ કાઢી નાખ્યું હતું અને ઘરની પાછળ ઝાડ નીચે ખાટલામાં સુતેલી તેની પત્નીના ગળાના ભાગે કુહાડીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી હતી.

જે અંગેની ફરિયાદ ધાનેરા પોલીસ મથકે નોંધાયા બાદ આ અંગેનો કેસ ડીસાની પાંચમી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો અને પાંચ વર્ષ બાદ તમામ સાક્ષી, પંચો, સંયોગીક પુરાવાઓ અને સરકારી વકીલ વિપુલ કંસારાની દલીલોને ધ્યાનમાં રાખી આરોપી પતિને કસૂરવાર ફેરવ્યો હતો અને પાંચમા એડિશનલ સેશન્સ જજ એચ એન કનારાએ સમાજમાં દાખલો બેસે અને ભવિષ્ય માં આવા ગુન્હાઓનું પુનરાવર્તન ન થાય તે માટે હત્યારા પતિને સબબ આજીવન કેદની સજા તેમજ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને જો દંડના ભરે તો તેને વધુ છ માસની સજા કરવાનો હુકમ કર્યો છે