દેશની સૌથી મોટી વીમા કંપની LIC અને દેશની સૌથી મોટી બેંક SBI દ્વારા અદાણી કંપનીમાં ગેરકાયદેસર રીતે રોકાણ કર્યું હોવાના કૌભાંડનો પર્દાફાસ કરવા કોંગ્રેસ દ્વારા દેશભરમાં ધરણાં યોજાયા હતા. જેમાં ડીસામાં પણ કોંગ્રેસી કાર્યકરોએ મોટી સંખ્યામાં ધરણા યોજી આ કૌભાંડ ખુલ્લુ કરવાની માંગ કરી હતી.

LIC અને SBIમાં દેશની જનતાની પરસેવાની કમાણીનું રોકાણ થયેલું હોય બંને સંસ્થાઓ દ્વારા અદાણી કંપનીમાં ગેરકાયદેસર રીતે નિયમ વિરુદ્ધ રોકાણ કરી લોકો સાથે દ્રોહ કર્યો છે. જેમાં સરકારે પણ ખોટી રીતે મંજૂરીઓ આપી અદાણી કંપનીના ચેરમેન ગૌતમ અદાણીને વિશ્વના ધન કુબેરોની યાદીમાં 649માં ક્રમેથી બીજા ક્રમે લાવવામાં ખોટી રીતે મંજૂરી આપી પબ્લિકના રોકાણના પૈસાનું પાણી કરી મોટું કૌભાંડ આચર્યું છે.

તેમજ સરકાર અદાણીને સાચવી દેશની જનતા સાથે ખૂબ જ મોટો અન્યાય કરી રહી છે. ત્યારે આ કૌભાંડને ઉજાગર કરવા કોંગ્રેસ દ્વારા દેશભરમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીસામાં પણ LIC ઓફિસ આગળ કોંગ્રેસી કાર્યકરોએ મોટી સંખ્યામાં ધરણાં યોજ્યા હતા.

કોંગ્રેસ આગેવાન પી.પી. ભરતીયા, નરસિંહ દેસાઈ, સંજય દેસાઈ, હરિ ઠાકોર અને મુકેશ સોલંકી સહિતના આગેવાનોએ માગ કરી હતી કે, અદાણીના કૌભાંડમાં સરકાર પૂરેપૂરી જવાબદાર છે. દેશની પ્રજા સાથે ખૂબ જ મોટો દ્રોહ કર્યો હોય આ સમગ્ર કૌભાંડ બહાર લાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.