મીઠાના રણમાં પહોંચ્યા મા નર્મદાના નીરઃ ચાતક નજરે પાણીની રાહ જોતા લાખો ખેડૂતોની આશા ફળી

સરહદ પર સમૃદ્ધિનું સોપાન: બનાસકાંઠાના સરહદી ગામ લોદ્રાણીમાં નર્મદાના નીર પહોંચવાથી સિંચાઇની સુવિધાનો લાભ થશે

          

ગુજરાતની સમૃદ્ધિના દ્વાર ખોલનારી બહુહેતુક નર્મદા યોજના બનાસકાંઠા જિલ્લા માટે રણમાં મીઠી વીરડી સમાન સાબિત થઇ છે. બનાસકાંઠા જિલ્લો કચ્છના રણને અડીને આવેલો જિલ્લો છે. આ જિલ્લાના ઘણા ગામડાઓ પાકિસ્તાનની સરહદ નજીક આવેલા છે. આવા ગામોમાં સૂઇગામ અને વાવ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આજે આપણે એક એવા જ ગામ વાવ તાલુકાના લોદ્રાણીની વાત કરવી છે. વાવ તાલુકાનું લોદ્રાણી ગામ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર ૩૨ કિ.મી.ના અંતરે આવેલું છે. આ વિસ્તારની જમીનમાં ખારાશનું પ્રમાણ વધારે હોવાથી ભૂજળ ખારા છે. આ ગામની મુલાકાત લેતાં કચ્છના સફેદ રણમાં ફરતા હોય એવો અહેસાસ થાય છે. આ ગામની આશરે કુલ બે હજાર જેટલી વસ્તી ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે પોતાનો જીવન નિર્વાહ કરે છે.  

           વાવ તાલુકાના લોદ્રાણી ગામમાં નર્મદાના નીર પહોંચવાથી પીવાના પાણીની સાથે સાથે સિંચાઇની સમસ્યાઓનો કાયમી અંત આવશે. લોદ્રાણી ગામના અગ્રણીશ્રી શ્રવણભાઇ રાણાભાઇ મણવરે જણાવ્યું કે, આજથી આઠ દસ વર્ષ પહેલાં ગામમાં નહેર તો આવી હતી, પરંતું છેવાડાનું ગામ હોવાથી અહીં સુધી પાણી પહોંચતું નહોતું, અહીં તો પીવાના પાણીના પણ ફાંફા હતા પરંતું આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે અમારી ચિંતા કરી અહીં સુધી નર્મદાનું પાણી પહોંચાડ્યું છે. અમારા ગામના આથમણી નામના તળાવને ભરવાનું કામ નર્મદા નિગમે કર્યુ છે જેનાથી ખેડુતો સહિત પશુ-પંખીઓને પીવાનું પાણી મળી રહેશે.

           લોદ્રાણીના ઠાકરશીભાઇ જેઠાભાઇ દેસાઇએ જણાવ્યું કે, અમારા ગામમાં સરકારે નર્મદાનું પાણી પહોંચાડ્યું છે એ બદલ સરકારનો આભાર માનું છું. અમે ખેતરમાં પ્રથમ વખત જીરા નું વાવેતર કર્યુ છે. આ રીતે નિયમિત પાણી મળતું રહે એવી સરકારને વિનંતી કરીએ છીએ. 

          માલધારીશ્રી માનાભાઇ પાંચાભાઇ રબારીએ જણાવ્યું કે, આ ગામની ૩ હજારથી વધુ ગાયોને ચરાવવાનું કામ કરું છું. સરકારે અમારા ગામમાં નર્મદાના નીર પહોંચાડી ખુબ મોટું સેવાનું કામ કર્યુ છે. અમે પાણી જોઇને ખુબ ખુશ થયા છીએ એટલે સરકારને આશીર્વાદ આપીએ છીએ કે તમે અમારા જીવતે જીવ અમારા ગામમાં પાણી પહોંચાડ્યું.       

            અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા વર્ષોથી નર્મદાના પાણીની ચાતક નજરે રાહ જોતા લાખો બનાસવાસીઓનું સપનું વર્ષ-૨૦૦૮માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે સાકાર કર્યું હતુ. નર્મદાનાં પવિત્ર નીરથી જિલ્લાનો પશ્વિમ વિસ્તાર કે જે અગાઉ સૂકો અને રણ વિસ્તાર ગણાતો હતો તે હવે હરીયાળો અને સમૃધ્ધ બન્યો છે તે સાથે લોકોની આવક અને સુખાકારીમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.

             અધિક્ષક ઇજનેરશ્રી સરદાર સરોવર નર્મદા નિગમ થરાદ હસ્તકમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઇગામ તેમજ ભાભર તાલુકામાં ૧,૨૯,૫૯૪ હેક્ટર વિસ્તારમાં વર્ષ ૨૦૧૩-૧૪થી નર્મદા નહેર દ્વારા પિયત માટે સિંચાઇનું પાણી પુરૂ પાડવામાં આવે છે. જેમાં નર્મદા મુખ્ય નહેર માંથી કુલ-૫ શાખા નહેરોનો સમાવેશ થાય છે. જેમાંથી ઢીમા શાખા નહેરની કુલ લંબાઇ ૧૪.૧૩૦ કિ.મી. થી કુલ-૨૬,૦૪૮ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ માટે પાણી પુરુ પાડવામાં આવે છે. ઢીમા શાખા નહેરની છેવાડાની સાંકળ ૧૪.૧૩૦ કિ.મી. થી સપ્રેડા વિશાખા નહેર જેની કુલ લંબાઇ ૧૧.૫૯૩ કિ.મી. છે. જેમાંથી કુલ- ૩,૯૭૨ હેક્ટર વિસ્તારમાં સિંચાઇનું પાણી આપવામાં આવે છે. સપ્રેડા વિશાખાની છેવાડાની સાંકળ ૧૧.૫૯૩ કિ.મી. માંથી લોદ્રાણી માઇનોર-૧ (લંબાઇ-૩.૦૧ કી.મી) તથા લોદ્રાણી માઇનોર-૨ (લંબાઇ ૬.૪૫ કી.મી) કેનાલ દ્વારા લોદ્રાણી તેમજ નાળોદરના કુલ-૭૬૩ હેક્ટર પિયત વિસ્તારમાં સિંચાઇ માટે પાણી પુરૂ પાડવામાં આવે છે. આમ ચાલુ રવિ સિઝન- ૨૦૨૨-૨૩માં લોદ્રાણી માઈનોર-૨ની કુલ લંબાઇ ૬.૪૫ કિ.મી. પર આવેલ આથમણી નામના તળાવને પણ નર્મદાના નીરથી ભરવામાં આવ્યું છે. આ તળાવ ભરવાના કારણે લોદ્રાણી સહિત આજુબાજુની ખેતી લાયક જમીનમાં પિયતનો લાભ થયો છે. તેમજ મોટા પ્રમાણમાં પશુ-પક્ષીઓને પિવાનું પાણી ઉપલબ્ધ થતાં સાચા અર્થમાં નમામી દેવી નર્મદે નો હેતુ સિધ્ધ થયો છે.