પાલનપુરમાં 2 પુત્રો અને પિતાએ ટ્રસ્ટ દ્વારા છાત્રોને કમ્પ્યુટરનો કોર્ષ કરાવી પરીક્ષા ફીના નામે 2520 છાત્રો પાસેથી રૂપિયા 3000 ઉઘરાવ્યા હતા. જોકે, નવ માસનો કોર્ષ પુરો થયા પછી થયેલા કરાર મુજબ રૂપિયા પરત ન આપી 1.61 કરોડની છેતરપીંડી આચરી હતી. આ અંગે તેમની સામે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપુર કિર્તિસ્તંભ વિસ્તારમાં એ.એસ,ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવતા શક્તિનગર સોસાયટી ભાગ 1 બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં રહેતા પંકજ દુર્ગાશંકર શર્મા,પવન દુર્ગાશંકર શર્મા અને દુર્ગાશંકર શર્માએ વર્ષ 2018માં શહેરની નવી આરટીઓ સામે સત્યમ સીટીમાં રહેતા જીતેન્દ્રકુમાર રમેશભાઇ પટેલને વિશ્વાસમાં લીધા હતા અને પોતે સી.એસ.આર. પ્રોજેક્ટ અંતર્ગત મહીલા શશક્તીકરણ બેલ્જીક કમાન્ડ ઇન ઇન્ડીયા, બીજનેશ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા તેમજ વર્લ્ડ સ્કીલ એજ્યુ કેશન સાથે કરાર કરેલ છે. જેમાં વિધાર્થી દીઠ રકમ ભરવાની છે અને નવ માસનો કોર્ષ પુરો થયે વધુ પ્રમાણમાં રકમ પરત મળશે અને મોટો ફાયદો થાય તેમ છે.

તેવી લાલચ આપતાં જીતેન્દ્રભાઇએ એક વિધાર્થીના રૂ.3000 લેખે કુલ 2520 વિદ્યાર્થીઓની પરીક્ષા ફી રૂપિયા 75,60,000 ભરી હતી. જોકે, થયેલા કરાર મુજબ રૂપિયા 1,61,80,000 પરત ન આપી ત્રણેય જણાંએ છેતરપીંડી આચરી હતી. આ અંગે જીતેન્દ્રકુમારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ટ્રસ્ટના સંચાલકોએ રૂપિયા પાંચસોના સ્ટેમ્પ ઉપર ત્રણ અલગ અલગ એગ્રીમેન્ટ કરી આપ્યા હતા. તે પછી કોર્ષનો સમયગાળો પુરો થવા છતાં સંચાલકોએ એમ.ઓ.યુ. મુજબ કુલ રૂ.1,74,00,000 લેવાના નિકળતા હતા. તે પૈકી માત્ર રૂ.12,20,000 જમા આપ્યા હતા અને બાકીની રકમ રૂ.1,61,80,000 પરત ન આપી છેતરપીંડી આચરી હતી.

કમ્પ્યુટર તાલીમ નવ માસની રહેશે. વિધાર્થી દીઠ રૂપિયા 3 હજાર પરીક્ષા ફી ભરવાની હોય છે. ફી ભર્યા પછી નવ માસની અંદર રૂપિયા 14,000 મળે છે. તેમાંથી નવ માસના અંતે વિધાર્થી દીઠ રૂપિયા 6000થી 7200 ચૂકવવાના રહેશે. વિધાર્થીઓનો રહેવા સહિતનો તમામ ખર્ચ ટ્રસ્ટ ભોગવશે.