ડીસામાં વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં વ્યાજે લીધેલા રૂ. 84,000 ની રકમ 3 ટકા વ્યાજ સહીત રૂ. 1.21 પરત આપવા છતાં પણ વ્યાજખોરે રૂ. 32 લાખનો ચેક બેંકમાં ભરી હેરાન કરતાં ડીસા ઉત્તર પોલીસ મથકે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઇ છે.

ડીસામાં શ્રીજી વિલા સોસાયટીમાં રહેતાં અતુલ પુરોહીત ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 2015 માં તેમણે તેમના મિત્રો સાથે એક શોપિંગની જગ્યામાં ભાગીદારી કરતાં રૂપિયાની જરૂર હોઇ તેમના મિત્રના કહેવાથી જલારામ મંદિર પાછળ આવેલા શ્રીજી આર્કેડમાં મનિષ પટેલ પાસેથી 3 ટકાના વ્યાજે રૂ. 84,000 ની રકમ લીધી હતી. જે રકમ બાદમાં તેમણે વ્યાજ સાથે રૂ. 1,21,500 પરત આપી દીધી હતી. તે સમયે અતુલે સિક્યુરિટી પેટે આપેલા ચેક અને પ્રોમિસરી નોટ પરત માંગતા તે નડીયાદ પડ્યા છે તેઓ જશે ત્યારે લાવીને આપી દેશે તેમ કહી ચેક પરત આપ્યા ન હતા અને બાદમાં વ્યાજ મેળવવા માટે મનિષ પટેલ અવાર-નવાર અતુલ પાસે ઉઘરાણી કરતા હતા. બાદમાં તેમણે રૂ. 32 લાખનો એક્સિસ બેંકનો ચેક ભરતાં બાઉન્સ થયો હતો. આમ વ્યાજે લીધેલી રકમ પરત આપવા છતાં પણ ખોટી રીતે હેરાન કરતા કંટાળેલા અતુલે વ્યાજખોર મનિષ પટેલ સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 'વ્યાજખોરો સામે પોલીસે મુહીમ શરૂ કરતાં ડીસામાં પણ 2 દિવસમાં વ્યાજખોરી મામલે 2 ફરિયાદ નોંધાઇ છે.'