વઢવાણના વેપારીના ઘરમાં બુધવારે સવારે રૂ. ૬૧.૩૦ લાખની થયેલી ચોરીમાં સંડોવાયેલા રીઢા ઘરફોડિયા એવા બે સગા ભાઇને પોલીસે ઝડપી લઇ ભેદ કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો છે અને બે આરોપી પાસેથી રૂ. ૩૫.૪૫ લાખની રોકડ કબજે કરી હતી, પરંતુ રૂપિયા ૨૫.૮૪ લાખની રોકડ રકમ આરોપી પાસેથી મળી આવી ન હોવાથી તે રૂપિયા ક્યાં ગયા..? ફરિયાદમાં ચોરીનો આંકડો સાચો કે ખોટો, એવા અનેક પ્રશ્નો પોલીસ માટે ભેદી કોયડા સમાન બન્યા છે. હાલના તબક્કે પોલીસને ચોરીના આ બનાવમાં હજુ વધુ એક આરોપી હોય તેવી શંકા છે. વેપારી પરિવારે ગઇ કાલે રકમ ઓછી દર્શાવી હતી અને બીજા દિવસે આંકડો વધારે કેમ દર્શાવ્યો હતો.? તે ઉપરાંત વેપારીએ હજુ સુધી આટલી મોટી રોકડ રકમ ક્યાંથી આવી અને ઘરમાં કેમ રાખી હતી, તેના કોઇ પુરાવા રજૂ કર્યા નથી. આવા અનેક પ્રશ્નોના જવાબ મેળવવા માટે પોલીસ તપાસ કરી રહી છે.બનાવની વિગતો એવી છે કે વઢવાણનો દાઉદી વોરા પરિવાર મહોરમ હોઈ સવારના સમયે મસ્જીદે નમાજ પઢવા ગયો હતો. તે વખતે કોઈ શખ્સ રૂા.૬૧,૩૦,૦૦૦ રોકડા ચોરી ગયા હતા. તે અંગેની ફરિયાદ વઢવાણ પોલીસમાં નોંધાવી હતી. આ બનાવમાં પોલીસે તસ્કરોના સગડ મેળવી ગણતરીના કલાકોમાં બે શખ્સોને રૂા.૩૫,૪૫,૮૮૦ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. સુરેન્દ્રનગરના હેન્ડલુમ ચોકમાં બુટ-ચપ્પલ અને રેડીમેઈડ કપડાનો શો-રૂમ ધરાવતા ફાતીમાબેન ઈનાયતભાઈ લોખંડવાલા વઢવાણ કોઠારીયા રોડ ઉપર એકતા સોસાયટીમાં રહે છે. મહોરમ મહિનો હોવાથી બુધવારે સવારે સાડા દસ વાગ્યે તેઓ ઘર બંધ કરીને પરિવાર સાથે વઢવાણ વોરાવાડમાં આવેલી મસ્જીદે નમાજ પઢવા ગયા હતા અને બપોરે બે વાગ્યા પછી ઘરે પરત આવતા ઘરના પાછળના દરવાજાનું તાળુ તુટેલું હતું. ઘરમાં તપાસ કરતા અલગ અલગ થેલીમાં રાખેલા રૂા.૬૧,૩૦,૦૦૦ રોકડ કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયો હતો. આ અંગે તેમણે વઢવાણ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં રેન્જ આઈ.જીના માર્ગદર્શનમાં ડીવાયએસપી એચ.પી.દોશી, એલ.સી.બી., એસ.ઓ.જી તથા વઢવાણ પોલીસ, પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. ફરિયાદમાં જણાવાયુ હતું કે, તેમની પાડોશમાં રહેતાં જાવેદભાઈ હારૂનભાઈ મેમણના ઘરે સીસીટીવી કેમેરા લગાવેલા હોવાથી તેના ફૂટેજ ચેક કરતા બપોરના સમયે અમારા ઘરની કમ્પાઉન્ડમાં દીવાલ કુદીને આશે ૨૦ વર્ષનો યુવાન ભોગાવો નદી તરફના રસ્તે જતો દેખાયો હતો. તેની પીઠ પાછળ થેલો જોવા મળ્યો હતો.પોલીસની ટીમોએ સીસીટીવી ફૂટેજ ઉપરાંત રાહદારીઓ અને શંકાસ્પદ ઈસમોની પુછપરછ કરી હતી. હ્મુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનિકલ સોર્સથી તપાસ હાથ ધરતા આ બનાવમાં વઢવાણ ભોગાવો નદીના કાંઠે રહેતા બે સગાભાઈઓ જયંતિભાઈ ધીરૂભાઈ સરવૈયા તથા વિનોદ ઉર્ફે ઈગુ ધીરૂભાઈ સરવૈયા સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યુ હતું. પોલીસે આરોપીના રહેણાંકના સ્થળે તપાસ કરતા બંન્ને મળ્યા ન હતા. બાદમાં ટેકનિકલ સોર્સના આધારે જયંતિ સરવૈયા (ઉ.વ.૨૨)ને સુરેન્દ્રનગર કેમ્પ સ્ટેશન પાસે બાવળની ઝાડીમાંથી ઝડપી લીધો હતો. પૂછપરછમાં તેણે તેન ભાઈ સાથે આ ગુનો આચર્યો હોવાનું કબુલ કરીને તેનો ભાઈ વિનોદ ઉર્ફે ઈગુ ભાવનગર જતો રહ્યો હોવાનું જણાવતા પોલીસની એક ટીમ તાબડતોબ ભાવનગર પહોંચી શિહોર રોડ, ગુંદાળા વિસ્તારમાંથી તેને પણ ઝડપી લીધો હતો અને બન્નેને વઢવાણ પોલીસે સ્ટેશને લઈ જવાયા હતા. પોલીસે તેમની પાસેથી રૂા.૩૫,૪૫,૮૮૦ રોકડ, રૂા.૫,૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન તથા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી રૂા.૫૦,૦૦૦ની કિંમતનું બાઈક મળી કુલ રૂા.૩૬,૦૦,૮૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.