અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. ધવલ પટેલે કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદને સંબોધીને લોકશાહીના અવસર પર પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ મતદારો આવતી કાલે એટલે કે 5મી ડિસેમ્બર, 2022ના રોજ સવારે 8.00થી સાંજના 5.00 દરમિયાન અચૂક મતદાન કરીને દેશની મજબૂત લોકશાહીમાં સહયોગ કરે. 

જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીને લગતી વિગતો આપતાં જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લાના કુલ 21 મતવિભાગોમાં 31,23,306 પુરુષ મતદારો, 28,81,224 સ્ત્રી, 209 અન્ય જાતિના સહિત કુલ 60,04,737 મતદારો છે. શાંતિપૂર્ણ મતદાનની વ્યવસ્થા માટે 23,785થી વધારે ચૂંટણીકર્મીઓ કાર્યરત છે અને મતદાનની પૂર્વસંધ્યાએ પોતાના મતદાન મથકે પહોંચી ચૂક્યા છે.

મતદાર કાપલીના વિતરણની માહિતી આપતાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે 60,04,739માંથી 58,80,315 વોટર ઇન્ફર્મેશન સ્લિપનું વિતરણ થઈ ચૂક્યું છે, આમ, 97.9 ટકા મતદાર કાપલીનું સફળતાપૂર્વક વિતરણ કાર્ય સમ્પન્ન કરવામાં આવ્યું છે. મતદાર કાપલી અંગે વધુ સ્પષ્ટતા કરતાં તેમણે ઉમેર્યું હતું કે વોટર ઇન્ફર્મેશન સ્લિપ એ ઓળખના પુરાવા તરીકે સ્વીકાર્ય નથી. દરેક મતદારે મતદાર કાર્ડ (EPIC) કે પછી ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 ઓળખપત્રોમાંથી કોઈ એક સાથે રાખવું અનિવાર્ય છે. ઓળખપત્રની ઝેરોક્ષ કે ડિજિટલ કૉપી સ્વીકાર્ય ગણાશે નહીં. મતદાન મથક પર મોબાઇલ પ્રતિબંધિત હોવાથી ડિઝિટલ ઓળખપત્રો દર્શાવી શકાશે નહીં, એટલે દરેક મતદારે માન્ય ઓળખપત્ર સાથે રાખવું જરૂરી રહેશે, એવું તેમણે ઉમેર્યું હતું.

અમદાવાદ જિલ્લાના મતદાન મથકો અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે જિલ્લામાં કુલ 5599 અને 11 પૂરક મતદાન મથકો ઊભાં કરવામાં આવ્યાં છે. જિલ્લાના 21 મતવિભાગોમાં દરેકમાં એક-એક મોડલ મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક અને ઇકો-ફ્રેન્ડલી મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યાં છે. મહિલા મતદાતાઓને પ્રોત્સાહન માટે કુલ 147 સખી મતદાન મથકો ઊભાં કરવામાં આવ્યાં છે.

મતદાન પ્રક્રિયાની દેખરેખ માટે દરેક મતવિભાગમાં 20 એમ કુલ 420 માઇક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે. 2827 મતદાન મથકોનું વેબકાસ્ટિંગ કરવાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે, એવું જિલ્લા ચૂંટણી અધિકારીએ ઉમેર્યું હતું.

આદર્શ આચારસંહિતાનું અમદાવાદ જિલ્લામાં ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે, એમ જણાવી જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું કે આચારસંહિતાના અમલના ભાગરૂપે ફરિયાદ મળતાં જાહેર મિલકતો પરથી 62,098 તથા ખાનગી મિલકતો પરથી 3,739 પ્રચારસામગ્રી હટાવી લેવામાં આવી છે. 

ફરિયાદ નિવારણની કામગીરીની વિગત આપતાં તેમણે જણાવ્યું કે સી-વિજિલ પર 1138 ફરિયાદો મળી, જેમાંથી 1050નો એટલે કે 92 ટકા ફરિયાદોનો નિયત 100 મિનિટની મર્યાદામાં જ ઉકેલ લાવવામાં આવ્યો છે. ટોલ ફ્રી નંબર પર મળેલી 1582માંથી 1515 ફરિયાદોનું નિરાકારણ લાવી દેવામાં આવ્યું છે.

અમદાવાદમાં મતગણતરી માટે એલ.ડી. એન્જિનિયરિંગ, ગવર્ન્મેન્ટ પોલિટેક્નીક અને ગુજરાત કૉલેજ ખાતે ત્રણ કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં હોવાનું પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.