તળાજા તાલુકાના મણાર ગામે રહેતા પરિણાતાએ તેના પતિને બહેનને ફોન લગાડી દેવાનું કહેતા થોડી વાર લાગતા પરિણીતાએ તમે તો ફોન પણ નથી લગાવી દેતા કહી લાગી આવતા બાજુના રૂમમાં જઈ ઝેરી દવા પી લઈ આત્મ હત્યા કરી લેતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના મણાર ગામે રહેતા હિનાબેન લક્ષ્મણભાઈ બાથાણી (ઉ.વ. 39)ને આજે સવારે 7.15 કલાકના અરસા દરમિયાન તેઓના બહેન સાથે વાત કરવી હોય પરંતું ફોનમાં પાસવર્ડ લોક હોવાના કારણે તેના પતિને બહેનને ફોન લગાડી આપવાનું કહેતા ફોન લગાડવામાં વાર લાગતા હિનાબેનને ફોન ન લગાડી આપવાના મામલે લાગી આવતા બાજુના રૂમમાં જઈ પોતાની જાતે અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પાણીમાં નાખી પી જતા તેઓને ગંભીર હાલતે ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યા સારવાર દરમિયાન સવારે 10.10 કલાકે તેણીનું મૃત્યુ નિપજવા પામ્યું હતું. ઉક્ત બનાવ અનુસંધાને હોસ્પિટલ પોલીસ ચોકીએ કેસ કાગળ કરી અલંગ પોલીસને રિફર કર્યા હતાં.