મહેસાણા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક રીક્ષાચાલક સવારે ધંધા માટે નીકળ્યો હતો જ્યા ડેડીયાસણ ચોકડી પાસે અજાણ્યાં કોઈ ઈસમોએ રીક્ષા ચાલકને માર મારી અપહરણ કર્યાની ઘટના સામે આવતા રિક્ષા ચાલકની પત્નીએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં એક મહિલા સહિત 3 સામે ફરિયાદ નોંધાવી છે.

મહેસાણાના નાગલપુર વિસ્તારમાં રહેતા રાવળ કિંજલબેને ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેઓ દોઢ વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા ને બાદમાં તેઓના પિયર પક્ષને આ મામલે પસંદ ન આવતા અવારનવાર ઝઘડા કરતા હતા. જેથી તેઓ મહેસાણા નાગલપુર વિસ્તારમાં આવી રહેવા લાગ્યા હતા.

1 તારીખે ફરિયાદીનો પતિ ઘરેથી રીક્ષા લઇ નીકળ્યા હતા.અને રીક્ષાચાલક પતિએ ફરિયાદીને ફોન કરેલ કે અમદાવાદથી જયંતિભાઈ આવે છે જેથી હું ઘરે આવું છું. બાદમાં મોડે સુધી ફરિયાદીનો પતિ ઘરે આવ્યો નહોતો. ત્યારે ફરિયાદીના કુટુંબી જેઠાણી ફરિયાદીના ઘરે આવી જાણવેલ કે તમારી રિક્ષામાં ડેડીયાસણ ચોકડી પાસે બે માણસો અને એક સ્ત્રી ડ્રાઈવરને માર મારી રિક્ષામાં બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયા છે.

સમગ્ર મામલે ફરિયાદીના પગ નીચે જમીન સરકી જતા તેણે તાત્કાલિક મહેસાણા તાલુકા પોલીસ મથકમાં આ મામલે જાણ કરી અમદાવાદના ભાડજ ખાતે રહેતા જયંતિ ભાઈ રાવળ અને એક અજાણ્યો પુરુષ અને મહિલા વિરુદ્ધ અપહરણ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.