મતદાનના દિવસે શ્રમયોગીઓને 

મતાધિકારનો ઉપયોગ કરવા માટે સવેતન રજા આપવાની રહેશે 

છોટાઉદેપુર: તા. ૨૯: 

 આગામી તા. ૦૫મી, ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર જિલ્લામાં યોજાનારા બીજા તબકકાના મતદાનના દિવસે શ્રમયોગીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે સવેતન રજા આપવાની રહેશે. 

 મદદનીશ શ્રમ આયુકતની કચેરી, છોટાઉદેપુરની અખબારી યાદીમાં જણાવાયાનુસાર આગામી તા. ૦૫/૧૨/૨૦૨૨ના રોજ છોટાઉદેપુર જિલ્લામાં વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન યોજાનાર છે. ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ-૧૯૪૮, કારખાના અધિનિયમ-૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એકટ-૧૯૯૬, કોન્ટ્રાકટ લેબર એકટ- ૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ ૧૩૫(બી) મુજબ નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઇ અનુસાર જાહેર રજા કરવાને કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. 

 જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઉભું થવાના સંજોગો/શક્યતાઓ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલા હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના મસયગાળા દરમિયાન ત્રણથી ચાર કલાક વારાફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. 

 જો કોઇ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોકત જોગવાઇથી વિરૂદ્ધ વર્તન કરશે તો ઉપરોકત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે ઉપરોકત સંબંધિત કોઇ ફરિયાદ હોય તો ફોન નં. ૦૨૬૬૯-૨૩૨૫૩૩ઉપર અથવા મદદનીશ શ્રમ આયુકતની કચેરી, એસ.-૫, બીજો માળ, જિલ્લા સેવાસદન, છોટાઉદેપુરનો સંપર્ક સાધવા મદદનીશ શ્રમ આયુકત, છોટાઉદેપુર તરફથી જણવાયું છે. 

-----૦-----