સુરતના વેડરોડ ખાતે યોજાયેલ સ્મૃતિ ઈરાનીના કાર્યક્રમમાં રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલને સ્મૃતિ ઈરાનીએ આડેહાથ લીધા.

શહેરના વેડરોડ વિસ્તારમાં કેશવ ફાર્મ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સુરત મહિલા મોરચાને સંબોધન કરતા આમ આદમી પાર્ટી ઉપર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. કેજરીવાલને આડેહાથ લેતા ઇરાનીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીને વોટ આપો એટલે દારૂડિયા અને ચાઈલ્ડ રેપિસ્ટોના સમર્થનમાં વોટ કર્યા બરાબર છે. કેજરીવાલ દારૂ કેવી રીતે પીવાય તે શીખવે છે. તેઓ પોતાની કેબિનેટમાં દારૂ કેવી રીતે પીવું જોઇએ તેના ક્લાસ શરૂ કરવા માટે ચર્ચા કરે છે. આમ આદમી પાર્ટીને મત આપવો એ દારૂડિયાને મત આપવા બરાબર છે. તેવો સીધો આક્ષેપ કર્યો હતો.

'ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે નવા નવા લોકો આવ્યા છે. ધતિંગ કરી રહ્યાં છે. તેમનું નામ ક ઉપરથી શરૂ થાય છે. પરંતુ લોકો તેમને રેવડીવાલ કહે છે. ભાજપ માટે આ વખતની ચૂંટણી માતૃશક્તિ માટે છે. સાહસ, કૌશલ, કાર્યનિષ્ઠા, સંસ્કાર, સંગઠન અને સભ્યતાને દર્શાવનારી છે. ' તેવું કહી ભારત સરકારના મંત્રી સ્મૃતિ ઇરાનીએ આપ અને કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું.